અર્થતંત્ર પર દેશના મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું- ‘દેશ મહામારીથી ઉભર્યુ અને બેરોજગારી પણ ઘટી’
સર્વેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી ધીમી વૃદ્ધિ હશે.
સંસદના બજેટ સત્રની શરૂઆત આજે એટલે કે મંગળવારથી થઈ ગઈ છે. બજેટ સત્રના પહેલા દિવસે સરકારે આર્થિક સર્વે પણ રજૂ કર્યો છે. આર્થિક સર્વેક્ષણ વિશે વાત કરતા, મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી અનંત નાગેશ્વરને કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા આ દાયકાના બાકીના સમયગાળામાં વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે. હવે આપણે મહામારીથી ઉભરવાની વાત ન કરવી જોઈએ. હવે આગળ વધવાનું છે. બેન્કોની બેલેન્સશીટ સુધરી રહી છે અને ધિરાણ વૃદ્ધિ તેજ થઈ રહી છે. નોન-બેંકિંગ અને કોર્પોરેટ સેક્ટરમાં હવે સ્વસ્થ બેલેન્સશીટ છે. બેરોજગારીનો દર જુલાઈ-સપ્ટેમ્બર 2019માં 8.3 ટકાથી ઘટીને જુલાઈ-સપ્ટેમ્બર 2022માં 7.2 ટકા થયો છે.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા
સર્વેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. છેલ્લા 3 વર્ષમાં આ સૌથી ધીમી વૃદ્ધિ હશે. જ્યારે નજીવી જીડીપી 11 ટકા અંદાજવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 23 માટે વાસ્તવિક જીડીપી અંદાજ 7 ટકા છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહેશે.
PPPની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
સર્વે અનુસાર, PPP (પર્ચેઝિંગ પાવર પેરિટી)ની દ્રષ્ટિએ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિનિમય દરની દ્રષ્ટિએ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. સર્વેમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અંદાજો, ફુગાવાના દરના અંદાજો, વિદેશી મુદ્રા ભંડાર અને વેપાર ખાધની માહિતીનો સમાવેશ થાય છે.
સર્વેમાં દર્શાવાઈ આ મહત્વની બાબતો-
- કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણમાં 9.3 ટકાનો વધારો.
- તમામ પાકોની MSP 1.5 ગણી વધી છે.
- કૃષિ ક્ષેત્રમાં 18.6 લાખ કરોડનું ધિરાણ.
- અનાજનું ઉત્પાદન 315 લાખ ટન.
- 11.3 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ.
- રૂ. 13681 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફંડ.
- ઈ-માર્કેટમાં 2.39 લાખ કરોડનો બિઝનેસ, 1 કરોડ 74 લાખ ખેડૂતોને ફાયદો થયો.
- પરંપરાગત ખેતીને પ્રોત્સાહન
- બાજરીના પ્રચારમાં ભારત આગળ છે.
નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ બાદ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલા મંગળવારે સંસદમાં દેશનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા 2023-24માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે જે ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકા હતો. ગયા નાણાકીય વર્ષમાં વિકાસ દર 8.7 ટકા હતો. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.