Tv9 Bhakti: પંચામૃત ગ્રહણ કરતી વખતે ક્યાંક તમે તો નથી કરતાને આ ભૂલ ? જાણી લો પંચામૃત માટેના નિયમ
તમને કદાચ નવાઈ લાગશે પણ પંચામૃતને (panchamrut) ગ્રહણ કરવાના પણ કેટલાંક નિયમ હોય છે ! જે અંગે સાવચેતી રાખવી પણ જરૂરી છે. પંચામૃત હથેળીની વચ્ચોવચ લઈ તેને મોં વડે અવાજ કર્યા વિના ગ્રહણ કરવું જોઈએ. તેમજ પંચામૃતના રૂપમાં લેવામાં આવતું આ દ્રવ્ય માત્ર એક જ ટીપું લેવું જોઇએ.
દેવપૂજા કર્યા બાદ પંચામૃતને ગ્રહણ કરવું ખૂબ જ જરૂરી મનાય છે. કોઇ મંદિરમાં (temple) તમે જાવ ત્યારે ત્યાંના પૂજારી ભક્તજનોને (devotee) પંચામૃત અર્પણ કરે છે. કે જે પ્રભુને અર્પણ થયેલું હોય છે. પણ, શું તમને ખબર છે કે પંચામૃતને (panchamrut) ગ્રહણ કરવાના પણ કેટલાંક નિયમ હોય છે ! એટલું જ નહીં, ઘરમાં પૂજા બાદ ગ્રહણ કરવામાં આવતા પંચામૃત સંબંધી પણ કેટલાંક ખાસ નીતિ-નિયમો છે. તેમજ સાવચેતી રાખવી પણ જરૂરી છે. આવો, આજે તે જ સંદર્ભે વાત કરીએ.
પંચામૃતને તો ધરતી પરના અમૃત સમાન માનવામાં આવે છે. દૂધ, દહીં, સાકર, મધ તેમજ ઘીને મિશ્રિત કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. પૂજાપાઠ કરતાં સમયે આ પંચામૃત ભગવાનને અર્પણ કર્યા બાદ બધાને વહેંચવામાં આવે છે. તહેવારોના દિવસોમાં પંચામૃતનું મહત્વ વિશેષ હોય છે. મંદિરોમાંથી પણ પૂજાપાઠ કર્યા બાદ પંચામૃત વહેંચવામાં આવે છે. ભગવાનને અભિષેક કરવા માટે વપરાતા આ પાંચ દ્રવ્યો અભિષેક બાદ ચરણામૃત તરીકે પણ ઓળખાય છે. જેને ગ્રહણ કરવાના પણ કેટલાંક નિયમો છે.
પંચામૃત ગ્રહણ કરવાના નિયમો
⦁ પંચામૃત હથેળીની વચ્ચોવચ લઈ તેને મોં વડે અવાજ કર્યા વિના ગ્રહણ કરવું જોઈએ.
⦁ પંચામૃતના રૂપમાં લેવામાં આવતું આ દ્રવ્ય માત્ર એક જ ટીપું લેવું જોઇએ.
⦁ ઘણીવાર લોકોને પ્રશ્ન થતો હોય છે કે પંચામૃત કેટલી વાર લેવું જોઇએ ? આ સવાલ પાછળ પણ એક શાસ્ત્રીય સંકેત છે. સામાન્ય રીતે ઘરમાં પૂજા થયા પછી 2 વાર પંચામૃત ગ્રહણ કરી શકાય !
⦁ જે દિવસે અન્ન ગ્રહણ ન કરવાનું હોય તે દિવસે 3 વાર પણ પંચામૃત ગ્રહણ કરી શકાય !
⦁ મંદિરમાં જાવ ત્યારે માત્ર એક જ વાર પંચામૃત ગ્રહણ કરો.
⦁ એકાદશીનો ઉપવાસ કરનાર વ્યક્તિએ એકાદશીના દિવસે ઉપવાસ રાખીને બીજા દિવસે સૂર્યોદય સમયે પંચામૃત ગ્રહણ કરીને ઉપાવસની પૂર્ણાહુતિ કરવી જોઈએ.
⦁ જો ઘરમાં સત્યનારાયણની કથા જેવી મહાપૂજા થતી હોય તો આ દિવસે સવારે નિત્ય પૂજન કર્યા પછી તરત જ પંચામૃત ન લેવું જોઇએ. મહાપૂજા સંપન્ન થયા બાદ અને ભોજન લેતા પહેલા પંચામૃત ગ્રહણ કરવું જોઇએ.
⦁ આ જ રીતે શ્રાદ્ધકર્મમાં પણ શ્રાદ્ધકર્મ પૂર્ણ થયા બાદ જ પંચામૃત ગ્રહણ કરવું.
⦁ નિત્ય પૂજાનું પંચામૃત સારા પાત્રમાં રાખવું જોઈએ. જેથી દિવસ દરમ્યાન પ્રસંગ આવે ત્યારે પંચામૃતને ગ્રહણ કરી શકાય.
⦁ જો કોઇ મનુષ્યનો અંતિમ સમય નજીક આવી ગયો હોય તો તુલસીપત્ર અને પંચામૃત તેના ‘મોં’માં મૂકવું જોઈએ.
⦁ જો કોઇ ગંભીર બીમારી હોય તો એ વ્યક્તિને પણ પંચામૃત પીવડાવવું જોઇએ.
⦁ પરિવારમાં કોઇ વ્યક્તિએ નિંદા કરી હોય તો તેણે પરપીડન, પરનિંદા જેવા અપરાધ કર્યા હોવાથી સૌપ્રથમ પંચામૃત તેને આપવું જોઇએ. ત્યારબાદ તેની પાસે પ્રાયશ્ચિત કરાવવું જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)