Jagannath Rathyatra 2022 : જગન્નાથપુરીમાં શા માટે ગુંડિચા મંદિરે જ લઈ જવાય છે પ્રભુ જગન્નાથની રથયાત્રા ?
રથયાત્રા (Rathyatra) બાદ પ્રભુ પૂરાં સાત દિવસ સુધી દેવી ગુંડિચાના મંદિરમાં જ રોકાય છે. અઠવાડિયા સુધી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજી માસીના લાડ માણે છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ છે કે વાસ્તવમાં આ ગુંડિચા મંદિરનું રહસ્ય શું છે ?
કોટે મોર ટહુક્યા વાદળ ચમકી વીજ મારા રૂદાને રાણો સાંભર્યો જોને આવી અષાઢી બીજ
અષાઢી બીજનો (ashadhi beej) અવસર આવે અને ભક્તોના હૃદયને વ્હાલા જગન્નાથનું સ્મરણ થઈ આવે. અષાઢી બીજ જ તો એ દિવસ છે કે જ્યારે પ્રભુ જગન્નાથ (lord jagannath) તેમના ભક્તોને સામે ચાલીને દર્શન દેવા પહોંચે છે. પ્રભુની આ લીલા રથયાત્રાના (Rathyatra) નામે પ્રસિદ્ધ છે. નંદિઘોષ રથ પર આરુઢ જગન્નાથજીના દિવ્ય રૂપનું દર્શન ભક્તો માટે જીવનની સૌથી ધન્ય ઘડી બની જતી હોય છે. આજે તો સમગ્ર ભારતમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. પરંતુ, તેમના અમદાવાદની રથયાત્રા અને જગન્નાથપુરીની રથયાત્રાની આગવી જ મહત્તા છે. પુરીધામમાં રથયાત્રા શ્રીમંદિરથી નીકળીને ગુંડિચા મંદિર પહોંચતી હોય છે. પણ, શું તમને ખબર છે કે આ રથયાત્રા ગુંડિચા મંદિર જ શા માટે પહોંચે છે ? આવો, રથયાત્રાના રૂડા અવસરે તમને પ્રભુ જગન્નાથજીનું સૌથી મોટો રહસ્ય જણાવીએ.
ગુંડિચા મંદિરનું રહસ્ય !
અમદાવાદમાં જેમ રથયાત્રાના દિવસે ભગવાન સરસપુર તેમના મામાના ઘરે જાય છે, તે જ પ્રમાણે પુરીમાં પ્રભુ તેમની માસીના ઘરે જાય છે. પ્રભુની માસીનું આ ઘર એટલે મુખ્ય મંદિરથી લગભગ 3 કિ.મી.ના અંતરે આવેલું દેવી ગુંડિચાનું મંદિર. રથયાત્રા બાદ પ્રભુ પૂરાં સાત દિવસ સુધી દેવી ગુંડિચાના મંદિરમાં જ રોકાય છે. અઠવાડિયા સુધી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજી માસીના લાડ માણે છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ છે કે વાસ્તવમાં તો આ ગુંડિચા મંદિર જ ‘જગન્નાથજીનું જન્મસ્થાન’ છે !
જગન્નાથજીનું જન્મસ્થાન !
પુરી ધામની યાત્રા દેવી ગુંડિચાના દર્શન વિના અપૂર્ણ મનાય છે. કારણ કે, જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓનું સર્વ પ્રથમ નિર્માણ ગુંડિચા મંદિરમાં જ થયું હતું ! દંતકથા અનુસાર સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ‘દારુ’ એટલે કે કાષ્ઠને સર્વપ્રથમ પુરીના આ જ સ્થાન પર લવાયા હતા. અહીં જ વિશ્વકર્માએ વૃદ્ધ મૂર્તિકારનું રૂપ લઈ મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. રાજા ઈન્દ્રધુમ્ને સમય પૂર્વે જ દ્વાર ખોલી દેતાં મૂર્તિઓ અપૂર્ણ રહી ગઈ. જો કે, ત્યારબાદ આ જ સ્થાન પર મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોવાની કથા પણ પ્રચલિત છે. અને એ જ કારણ છે કે પુરીમાં આ સ્થાન જગન્નાથજીના જન્મસ્થાન તરીકે ખ્યાત છે.
ગુંડિયા યાત્રાની પ્રચલિત કથા
પ્રચલિત કથા અનુસાર અહીં સર્વ પ્રથમ મંદિરનું નિર્માણ રાજા ઈન્દ્રધુમ્નના પત્ની દેવી ગુંડિચાએ કરાવ્યું હતું. જેને લીધે આ સ્થાન ગુંડિચા દેવી મંદિરના નામે પ્રસિદ્ધ થયું. લોકવાયકા તો એવી પણ છે કે મુખ્ય મંદિરથી આ સ્થાનક સુધી રથયાત્રાનો પ્રારંભ પણ ખુદ દેવી ગુંડિચાએ જ કરાવ્યો હતો. જેને લીધે જ રથયાત્રા ‘ગુંડિચા યાત્રા’ તરીકે પણ ઓળખાય છે. અને પ્રભુ ખુદ માસીના લાડ લેવાં દર વર્ષે અષાઢી બીજે અહીં પહોંચે છે. તો, હવે જ્યારે તમે પણ પુરીજગન્નાથમાં પ્રભુ જગન્નાથજીના દર્શને જાવ, ત્યારે પ્રભુના જન્મસ્થાનના દર્શને જવાનું ન ભૂલતા. કારણ કે, ગુંડિચા મંદિરના દર્શન બાદ જ તો પૂર્ણ થશે તમારી પુરીધામની યાત્રા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)