Tv9 Bhakti : કોઈ કાર્ય સફળ થાય તે પહેલાં જ આ રીતે મળી જાય છે સફળતાનો શુભ સંકેત !
ઘરમાંથી (Home) કોઇ સારા કાર્ય અર્થે બહાર નીકળ્યા હોવ અને તમને સામે દૂધ ભરેલ વાસણ સાથે કોઇ વ્યક્તિ દેખાય તો તે શુભ સંકેત છે. જે જણાવે છે કે આપનો આજનો દિવસ સુખમય અને સફળતા ભરેલો રહેશે.
લૌકિક માન્યતા (Secular beliefs) અનુસાર ઘણીવાર આપણી આસપાસ બનતી કેટલીક બાબતો જ આપણને શુભ-અશુભનો (Good-bad) સંકેત આપી દેતી હોય છે. કેટલીક એવી ઘટનાઓ કે જેને આપણે સામાન્ય ઘટના સમજીને અવગણી દઈએ છીએ, વાસ્તવમાં તે આપણી સાથે શું ઘટવાનું છે તેનો અણસાર આપતી હોય છે. આપણું કાર્ય સફળ (Success) થશે કે તેમાં વિઘ્નો આવશે, તેની જાણકારી પણ તેમાંથી મળી શકે છે. આજે કેટલીક આવી બાબતો વિશે જ વાત કરવી છે. એકતરફ જ્યાં શુભ સંકતો વ્યક્તિનો ઉત્સાહ વધારી દે છે, ત્યાં બીજી તરફ અશુભ સંકેતોના સંજોગોમાં વ્યક્તિ તેના ઈષ્ટદેવનું સ્મરણ કરી આવનારી સમસ્યાથી મુક્તિ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ તમામ બાબતો માત્ર લૌકિક માન્યતાઓ પર આધારિત છે.
શુભ-અશુભ સંકેત
⦁ સવારે ઘરેથી બહાર કોઇ કાર્ય માટે નીકળતા હોવ અને તમને સામે ગાય અને વાછરડું મળે તો સમજી લેજો કે આજનો દિવસ તમારા માટે શુભ દિવસ છે. રોકાયેલ દરેક કાર્યો આજના દિવસે કરવાથી પૂર્ણ થશે. તમે કોઇ કાર્ય નક્કી કર્યું હોય કે તે કાર્ય પૂર્ણ કરવું જ છે, તો તે કાર્યમાં પણ આપને સફળતાની પ્રાપ્તિ થશે.
⦁ સવારે ઘરેથી બહાર નીકળતા હોવ અને તમે સામે ગાયને કે વાછરડાને થોડું પરેશાન હાલતમાં જુઓ છો તો તે અશુભતાની નિશાની મનાય છે.
⦁ સવારે ઉઠતાની સાથે જ આપના ઘરના દ્વારે કોઇ ભિક્ષુક ભિક્ષા અર્થે આવે તો તે આપના માટે શુભ બનશે. આ ભિક્ષુકને અન્નની ભિક્ષા અર્પણ કરવાથી આપના ઘરમાં અન્નના ભંડાર ભર્યા રહે છે. માતા લક્ષ્મીની કૃપા પણ બની રહેશે. સાથે આ વસ્તુ આપના કોઇ અગત્યના કાર્યની સફળતાનો શુભ સંકેત પણ આપે છે.
⦁ ઘરમાંથી કોઇ સારા કાર્ય અર્થે બહાર નીકળ્યા હોવ અને તમને સામે દૂધ ભરેલ વાસણ સાથે કોઇ વ્યક્તિ દેખાય તો તે શુભ સંકેત છે. જે જણાવે છે કે આપનો આજનો દિવસ સુખમય અને સફળતા ભરેલો રહેશે.
⦁ ઘરમાંથી બહાર નીકળતા હોવ અને ઘરની બહાર દૂધ ઢોળાયેલું જોવા મળે તો તે અશુભતાનો સંકેત છે. પણ, આપે ચિંતા કરવાની જરૂર નથી. આ સમયે આત્મવિશ્વાસની સાથે આપના કુળદેવી કે કુળદેવતાની પૂજા કરવી. તેનાથી આપને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે.
⦁ સવારે ઘરેથી કામ માટે નીકળતા હોવ અને કોઇ વૃક્ષ પર ફળ દેખાય તો તે શુભ સંકેત છે.
⦁ ઘરેથી સવારે કોઇ કાર્ય અર્થે નીકળતા હોવ અને આપને ઠોકર વાગે તો તે અશુભ સંકેત છે. પણ આપે ડરવાની જરૂર નથી. આ સમયે આપે પોતાના ઇષ્ટનું નામ લઇને તેમનું સ્મરણ કરતા કરતા આગળ વધવાનું છે.
⦁ આપ ઊંઘમાં હોવ અને તે સમયે આપને ઇષ્ટ દેવ-દેવી, ગુરુ કે ગાય પ્રસન્ન મુદ્રામાં જોવા મળે તો તે શુભ સંકેત છે. આ તમને જીવનમાં કોઇ સારા અને નવા કાર્યો થવાનો સંકેત આપી રહ્યો છે.
⦁ સપનામાં તમારા ઇષ્ટનો ફોટો તૂટતો જોવા મળે તો તે અશુભ સંકેત છે. જો તમને આવું દેખાય તો તરત જ આપે આપના ઇષ્ટની ક્ષમા માંગી તેમના જાપ અને યજ્ઞ કરવા. 3 દિવસ સુધી આ કાર્ય કરવાનો સંકલ્પ લઇને કાર્ય માટે આગળ વધો. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)