નિરાશાઓના અંધકારને હરશે ઘરનું મંદિર ! જાણો ઘરમાં ક્યાં અને કેવું રાખશો મંદિર ?
અંધારામાં રહેલું આપનું મંદિર આપના જીવનમાં પણ અંધારપટ્ટ ફેલાવી શકે છે ! તેનાથી વિપરીત મંદિરની યોગ્ય દિશા, મંદિરની યોગ્ય રચના અને મંદિરનો યોગ્ય રંગ તમારા જીવનમાં પણ ઉમંગ લાવશે. સાથે જ આપના પર અને આપના ઘર પર ઈશ્વરકૃપા સદૈવ અકબંધ રહેશે !
શું તમે જાણો છો કે તમારા ઘરની (home) અંદર રહેલું એક નાનકડું મંદિર (temple) જ તમારી દરેક પરેશાનીને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે ? જો ઘરમાં મંદિર હોય તો જ તે ઘર ‘ઘર’ બને છે. ઘરમાં રહેલું મંદિર એ પરિવારના સુખ અને સમૃદ્ધિનું કારણ બને છે. એવું કહેવાય છે કે મંદિર ઘરમાં સકારાત્મક ઉર્જા(Positive energy)નો સંચાર કરે છે. આજે વ્યક્તિ અનેક પ્રકારની પરેશાનીથી ઘેરાયેલો રહે છે. ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો સતાવે તો ક્યારેક માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમને કોઈ કહે કે તમારી દરેક પરેશાનીનું સમાધાન તમારા ઘરમાં જ છે તો ? આજે અમે આપને એ જણાવીશું કે તમારાં ઘરમાં રહેલું મંદિર કેવી રીતે પૂર્ણ કરશે આપની તમામ મનોકામના !
એવું કહેવાય છે કે ઘરની આર્થિક અને સામાજિક સ્થિતિનો સંબંધ ઘરમાં કેવી ઉર્જા ઉત્પન્ન થાય છે તેના પર રહેલો છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા અને ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે એ ખુબ જરૂરી છે કે તમારા ઘરમાં એક નાનકડું મંદિર અવશ્ય હોય. પણ વાત આટલે નથી અટકતી. એ મંદિર કેવી જગ્યાએ હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ તે વાત પણ ખૂબ જ મહત્વ ધરાવે છે.
મંદિરની દિશા
સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ઘરમાં મંદિરની દિશા કઈ હોવી જોઈએ. જો તમારું ઘર મોટું હોય તો મંદિર એક અલગ જ રૂમમાં રાખવું. જો અલગ રૂમ ફાળવી શકાય તેમ ન હોય તો મંદિરનું સ્થાન થોડું અલગ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. ઘરમાં મંદિર યોગ્ય દિશામાં હોય તે ખૂબ જ જરૂરી છે. તો આપને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની સ્થાપના માટે ઘરનો ઈશાન ખૂણો સર્વોત્તમ મનાય છે. એટલે કે શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણામાં જ મંદિરની સ્થાપના કરવી. જો તે શક્ય ન હોય તો પૂર્વ દિશા પણ મંદિર સ્થાપન માટે ફળદાયી બનશે.
મંદિરમાં હવાઉજાસ !
તમારા ઘરમાં રહેલાં મંદિરમાં સૂર્યપ્રકાશ આવે એ પણ અત્યંત જરૂરી છે. કારણકે અંધારામાં રહેલું આપનું મંદિર આપના જીવનમાં પણ અંધારપટ્ટ ફેલાવી શકે છે ! તેનાથી વિપરીત મંદિરની યોગ્ય દિશા, મંદિરની યોગ્ય રચના અને મંદિરનો યોગ્ય રંગ તમારા જીવનમાં પણ ઉમંગ લાવશે. અને સાથે જ આપના પર અને આપના ઘર પર ઈશ્વરકૃપા સદૈવ અકબંધ રહેશે.
મંદિરની ધાતુ અને રંગ
મંદિર શેમાંથી બનેલું છે તે બાબત પણ ફળપ્રાપ્તિ પર અસર કરી શકે છે. તો, મંદિરની વિશેષ રચના પણ ભાગ્યોદય માટે કારણભૂત બની શકે છે. લાકડામાંથી બનેલું મંદિર પ્રભુ સ્થાપન માટે ઉત્તમ મનાય છે ! ભક્તની ઈચ્છા હોય તો તે આરસપહાણનું મંદિર પણ બનાવડાવી શકે છે. ઘરના મંદિરનો રંગ આછો પીળો અથવા નારંગી રંગનો જ રાખવો. જ્યાં મંદિર સ્થાપિત કર્યું છે તે દિવાલનો રંગ સફેદ અથવા આછો પીળો રાખવો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)