શાકંભરીના દર્શન પહેલાં શા માટે થાય છે બાબા ભૂરાદેવના દર્શન ?
શાકંભરી (SHAKAMBHARI) શક્તિપીઠના દર્શનની યાત્રા બાબા ભૂરાદેવના દર્શન બાદ જ પૂર્ણ થાય છે. બાબા ભૂરાદેવના આશીર્વાદ બાદ જ મા શાકંભરી ભક્તોની મનશા પૂર્ણ કરે છે !
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલું જસમોર ગામ શાકંભરી (SHAKAMBHARI) શક્તિપીઠના લીધે સમગ્ર ભારતમાં ખ્યાત છે. દેવીએ આ જ ભૂમિ પર શતાક્ષી, શાકંભરી રૂપ ધારણ કર્યું હોવાની લોકવાયકા તો છે જ. પણ, કહે છે કે અસુર દુર્ગમનો વધ પણ દેવીએ આ જ ભૂમિ પર કર્યો હતો ! અને દુર્ગમ સામેના આ યુદ્ધમાં દેવીને સહાય કરી હતી બાબા ભૂરાદેવજીએ !
સહારનપુરમાં શાકંભરી દેવીના સ્થાનકથી એકાદ કિલોમીટરના અંતરે જ બાબા ભૂરાદેવજીનું મંદિર આવેલું છે. માતા શાકંભરીના દર્શને આવનારા ભાવિકો સર્વ પ્રથમ ભૂરાદેવજીના જ દર્શન કરે છે. પ્રચલિત માન્યતા અનુસાર ભૂરાદેવના દર્શનથી જ આ યાત્રા પરિપૂર્ણ થાય છે. એમાંય દેવીના દર્શન પહેલાં જ ભૂરાદેવજીના દર્શન કરવાનું વિધાન છે ! અને આવું શા માટે છે તેની સાથે એક રોચક કથા જોડાયેલી છે.
લોકવાયકા અનુસાર ભૂરાદેવજી મા ભગવતીના પરમ ઉપાસક હતા. જ્યારે ભગવતીનું દુર્ગમાસુર સાથે યુદ્ધ થયું, ત્યારે ભૂરાદેવજી તેમના પાંચ સાથીઓ સાથે આ યુદ્ધમાં જોડાયા. ભૂરાદેવજીએ અનેક અસુરોનો સંહાર કર્યો. પણ, અંતે તેઓ વીરગતિને પામ્યા.
આદ્યશક્તિએ દુર્ગમનો વધ કરી યુદ્ધનો અંત આણ્યો. ત્યારબાદ રણભૂમિમાં ભૂરાદેવજીનું શબ જોઈ સંજીવની વિદ્યાથી તેમને જીવિત કર્યા. અને કહ્યું…
મા દુર્ગાઃ “હે પુત્ર ! હું તારી નિષ્ઠાથી પ્રસન્ન છું. તું ઈચ્છે તો હું તને દીર્ઘાયુ રહેવાનું વરાદન આપી શકું છું !”
બાબા ભૂરાદેવઃ “હે મા ! મને તો એટલું જ વરદાન જોઈએ છે, કે હું સદૈવ આપના ચરણોમાં રહી આપની સેવા કરું !”
મા દુર્ગાઃ “હે ભૂરા ! મારું તને વરદાન છે, કે તારું નામ યુગો સુધી અમર રહેશે ! આ ભૂમિ પર મારા દર્શને આવનારા ભક્તો સર્વ પ્રથમ તારા દર્શન કરશે. તારી પૂજા પહેલાં થયેલી મારી પૂજાનો હું ક્યારેય સ્વીકાર નહીં કરું !
માન્યતા અનુસાર મા દુર્ગાના આ વરદાનને લીધે જ શિવાલિક ક્ષેત્રમાં સર્વ પ્રથમ ભૂરાદેવજીના દર્શનનો મહિમા છે.
આમ તો, બારેમાસ ભાવિકો શાકંભરી શક્તિપીઠના દર્શને ઉમટતા જ રહે છે. પણ, નવરાત્રી અને હોળી પર મા શાકંભરીના દર્શનનો સવિશેષ મહિમા છે. તો, આસો નવરાત્રી અને શાકંભરી જયંતી પર માના સાનિધ્યે મેળો લાગે છે. જેમાં ભાગ લેવાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.
એક કથા અનુસાર મા ભગવતીએ આ જ ભૂમિ પર સો વર્ષ સુધી તપ કર્યું હતું. આ તપસ્યા દરમિયાન દેવી મહિનામાં માત્ર એક જ વાર ભોજન ગ્રહણ કરતા ! એ પણ માત્ર શાકભાજી અને ફળફળાદી જ ગ્રહણ કરતા ! જેને લીધે દેવી અહીં શાકંભરીના નામે પૂજનીય બન્યા ! ઉત્તર ભારતમાં નવ દેવીઓના દર્શનની યાત્રાનો મહિમા છે, અને આ નવ દેવી દર્શનની યાત્રા મા શાકંભરીના દર્શનથી જ પરિપૂર્ણ થાય છે !
આ પાવની ધરા આદિ શંકરાચાર્યની તપોભૂમિ રહી હોવાનું મનાય છે. તો, ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યએ પણ માના સાનિધ્યે ઘણો સમય પસાર કર્યો હોવાનું ઇતિહાસ નોંધે છે. ત્યારે આ જ બધી બાબતો શાકંભરી શક્તિપીઠની મહત્તાને અભિવ્યક્ત કરવા પૂરતી છે.
આ પણ વાંચો શાકંભરી પ્રાગટ્ય દિને જાણો મા શાકંભરીની પ્રગટ ભૂમિનો મહિમા