વિશેષ સંયોગ સાથે આવી સર્વપિતૃ અમાસ, સરળ ઉપાયથી મળશે તમામ પિતૃઓના આશીર્વાદ !
સર્વપિતૃ અમાસનું (sarva pitru amavasya ) એક આગવું જ મહત્વ છે. એમાં પણ અમાસનો દિવસ પિતૃતર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે સર્વોત્તમ છે. પુરાણ નાસુર જોઈએ તો આ દિવસે શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે !
ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ વિધિ (shraddha vidhi) પિતૃઓને તો તારે જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે. આમ તો દરેક અમાસ (amavasya) પિતૃઓને સમર્પિત છે. પરંતુ, ભાદરવા માસમાં આવતી અમાસ એટલે કે પિતૃપક્ષની અમાસની સવિશેષ મહત્તા છે. આ અમાસ સર્વપિતૃ અમાસ (sarva pitru amavasya) તરીકે ઓળખાય છે. કહે છે કે આ દિવસે કરેલું શ્રાદ્ધકર્મ જરૂરથી પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે આ અમાસ વિશેષ સંયોગ સાથે આવી રહી છે. આ સંયોગ પિતૃતર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે સર્વોત્તમ છે.
સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર, રવિવારના રોજ છે. આ દિવસ એ પિતૃ પક્ષની સમાપ્તિનો દિવસ છે. અને ત્યારે તમામ પિતૃઓની શાંતિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુ તારીખ નથી જાણતા તેમના માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે એ તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.
વિશેષ સંયોગ
આ વખતે સર્વ પિતૃ અમાસે સર્વાર્થ સિદ્ધિયોગ, લક્ષ્મીનારાયણ યોગ, બુદ્ધાદિત્ય યોગ અને કન્યા રાશિમાં ચતુગ્રહી યોગનો સંયોગ સર્જાઈ રહ્યો છે. ચંદ્ર પણ આ દિવસે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેને લીધે કન્યા રાશિમાં ચાર ગ્રહનો શુભ સંયોગ સર્જાશે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવનાર કર્મકાંડથી સવિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
તીર્થ શ્રાદ્ધનો મહિમા
સર્વપિતૃ અમાવસ્યાના દિવસે હરિદ્વાર, ગયાજી, બ્રહ્મકાપલી, બદ્રીનાથ ઉપરાંત ગંગા, નર્મદા, યમુના, ક્ષિપ્રા વગેરે પવિત્ર નદીઓના કિનારે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે શુભાશિષ આપે છે. આ દિવસે પિતૃદોષના નિવારણ માટે પૂજન પણ થાય છે. જે લોકો પર કોઈ કારણે પિતૃદોષ રહેતો હોય તેમણે આ દિવસે યોગ્ય બ્રાહ્મણને બોલાવીને પિતૃઓનું શ્રાદ્ધ કરાવવું જોઈએ. તેનાથી ચોક્કસપણે પિતૃદોષની શાંતિ થાય છે.
શું કરશો વિશેષ ઉપાય ?
⦁ સર્વપિતૃ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, દાન, શ્રાદ્ધ કરો.
⦁ ગરીબ, વિકલાંગ, અશક્ત અને અંધોને પિતૃઓ નિમિત્તે ખીર ખવડાવો, દૂધ પીવડાવો.
⦁ બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપો, ભોજન કરાવો અને યોગ્ય દાન અને દક્ષિણા આપીને આશીર્વાદ મેળવો.
⦁ આ દિવસે ગાય, કૂતરા, કાગડા, કીડી અને માછલીને ખવડાવો.
⦁ પાણી અને ખાંડ મિશ્રીત કાચુ દૂધ પીપળના ઝાડમાં અર્પિત કરો.
⦁ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
જેમની મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસે કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મભોજન કરાવવું. તેમજ જરૂરિયાતમંદોને દાન આપવું. સામાન્ય દિવસોમાં થતા દાન કરતા સર્વપિતૃ અમાસે થતું દાન અનેકગણાં પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર સર્વપિતૃ અમાસે જે વ્યક્તિ શ્રાદ્ધકર્મ કરે છે તેને દેવામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તેના ઘરમાં સુખ-શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)