Bhakti : પૂજ્ય નીરુમાએ અક્રમ વિજ્ઞાન ચળવળને જીવન કર્યું સમર્પિત, જાણો તે કેવી રીતે બન્યા પ્રેરણામૂર્તિ ?
બાળપણથી જ તેમની ઈચ્છા હતી કે તે ડૉક્ટર બને અને માનવજાતની સેવા કરે. પણ, તે સમયે તેમણે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે તેમની નિયતી તેમને સેવાના પથ પર તો લઈ જશે, પરંતુ, એક નવા જ રસ્તે !
અક્રમ વિજ્ઞાન (akram vignan) એટલે આધ્યાત્મિક વિજ્ઞાન, (spiritual science) આત્મજ્ઞાનનું વિજ્ઞાન. આ વિજ્ઞાનનો હેતુ વિશ્વમાં શાંતિ, ઐક્ય અને પરમ સુખનો પ્રસાર કરવાનું છે. ત્યારે તેમના જીવનકાળ દરમિયાન આ ભગીરથ કાર્યને પાર પાડવાનો પ્રયત્ન કર્યો પૂ. નીરુમાએ. વાત્સલ્યમૂર્તિ નીરુમાનો આજે જન્મદિવસ છે. ત્યારે આવો, તેમના મહાન કાર્યને સમજવાનો પ્રયત્ન કરીએ.
જેમને સમગ્ર વિશ્વ ‘પૂજ્ય નીરુમા’ના હુલામણા નામે ઓળખે છે, તેમનું આખું નામ તો હતું ડૉ. નીરુબેન અમીન. તેમનો જન્મ 2 ડિસેમ્બર, 1944ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયો હતો. પાંચ ભાઈઓ વચ્ચે તે એક માત્ર બહેન હતા અને ગર્ભશ્રીમંત પરિવારમાં ખૂબ જ લાડકોડથી ઉછર્યા હતા. બાળપણથી જ તેમની ઈચ્છા હતી કે તે ડૉક્ટર બને અને માનવજાતની સેવા કરે. પણ, તે સમયે તેમણે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે તેમની નિયતી તેમને સેવાના પથ પર તો લઈ જશે, પરંતુ, એક નવા જ રસ્તે !
નીરુમા જ્યારે કોલેજનાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતાં, ત્યારે તેમના મોટાભાઈએ તેમને પરમ પૂજ્ય દાદા ભગવાન વિશે વાત કરી. દાદા ભગવાન કે જેને વિશ્વ દાદાશ્રીના નામે પણ ઓળખે છે, તેઓ તે સમયે અક્રમ વિજ્ઞાનની ચળવળ ચલાવી રહ્યા હતાં. અક્રમ વિજ્ઞાન એ સિમંધર સ્વામીની કૃપાથી ત્વરિત મુક્તિનું વચન આપે છે. જેના માધ્યમથી દાદાશ્રી મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી રહ્યા હતાં. 29 જૂન, 1968ના રોજ નીરુમા પ્રથમવાર દાદાશ્રીને વડોદરામાં મળ્યા અને તેમને એવું લાગ્યું કે જાણે તેઓ ઘણાં સમયથી તેમને ઓળખે છે.
8 જુલાઈ, 1968ના રોજ નીરુમાએ દાદાશ્રી પાસેથી આત્મજ્ઞાન મેળવ્યું. અને આત્મા એ દેહથી તદ્દન જુદાં જ સ્વરૂપે હોવાનો અનુભવ કર્યો. આ ઘટનાના થોડાં જ સમય બાદ નીરુમાના પિતાનું અવસાન થયું. તે સમયે તેમને અહેસાસ થયો કે આત્મવિજ્ઞાન ખરેખર ક્રિયાકારી છે. તે સમયે તેમને વિચાર સ્ફૂર્યો કે, “એક મેડીકલ ડૉક્ટર તરીકે હું માત્ર લોકોની શારીરિક બીમારી જ દૂર કરી શકીશ, પરંતુ જો હું જ્ઞાનીની સેવા કરું, તો પછી ઘણા લોકોને તેમની માનસિક, ભાવનાત્મક અને સાંસારિક બીમારીઓમાં મદદ કરી શકીશ.” વર્ષ 1968માં માત્ર 23 વર્ષની ઉંમરે તેમણે સુખ સાહ્યબી ભરેલું જીવન ત્યાગી સમગ્ર જીવન જ્ઞાની પુરુષની એટલે કે દાદાશ્રીની સેવામાં સમર્પીત કરી દીધું.
પૂ. દાદાશ્રીની સેવા કરતા નીરુમાએ આખું વિજ્ઞાન સમજી લીધું. ખુદ દાદાશ્રી તેમની પ્રશંસા કરતા કહેતા કે, “નીરુબેનમાં ઉપદેશકો તૈયાર કરી શકવાની અને નાના-મોટા બધી ઉંમરના લોકોને આખું અક્રમ વિજ્ઞાન બધાં પાસાઓથી સમજાવવાની ભારોભાર શક્તિ છે.” પૂ. નીરુમા પાસે જટિલ આધ્યાત્મિક તથ્યોને ખૂબ જ સરળ રીતે રજૂ કરવાની જોરદાર ક્ષમતા હતી. કે જેથી લોકો તેને સરળતાથી સમજી શકે. દાદાશ્રીના અંતિમ દિવસોમાં તેમણે તેમને વચન આપ્યું કે તે જગત કલ્યાણની તેમની ભાવના પૂરી કરશે. અને દાદાશ્રીના દેહાવસાન બાદ નીરુમાએ જાણે દાદાશ્રીની જ વાણીને શુદ્ધ તેમજ યથાવત રૂપે લોકો સમક્ષ રજૂ કરી.
નીરુમાએ ચેન્નઈ અને અમદાવાદમાં દાદા ભગવાન ફાઉન્ડેશન ટ્રસ્ટનું નિર્માણ કરી અક્રમ વિજ્ઞાનની ચળવળને વેગ આપ્યો. તે સિવાય અમદાવાદમાં સિમંધર સ્વામી આરાધના ટ્રસ્ટ અને મુંબઈમાં મહાવિદેહ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી. તેમણે દાદાશ્રીના પ્રવચનોને પ્રકાશિત કરાવ્યા. ગુજરાતના ગાંધીનગરમાં ત્રિમંદિરનું નિર્માણ કરાવડાવ્યું. તેમના પ્રયાસોને લીધે અક્રમ વિજ્ઞાન આખાં વિશ્વ સુધી પહોંચ્યું. નીરુમાએ સત્સંગના તેમજ પ્રશ્નોત્તરીના માધ્યમથી લોકોની જટિલ સમસ્યાઓને ઉકેલી અને તેમને આત્મજ્ઞાન તરફ વાળ્યા.
19 માર્ચ, 2006ના રોજ નીરુમાએ આ સ્થૂળ જગતને ત્યાગી દીધું. પણ તે પહેલાં સૌની પાસેથી વચન લીધું કે, “પ્રેમથી રહેજો.” નીરુમાના દેહવિલય બાદ દાદાશ્રીનું જગતકલ્યાણનું મીશન એજ શુદ્ધતા અને સિદ્ધાંત સાથે આજે પણ પૂ. દીપકભાઈનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે.
આ પણ વાંચોઃ જગત કલ્યાણની કામના અને અક્રમ વિજ્ઞાનના પ્રહરી દાદા ભગવાન
આ પણ વાંચોઃ શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો