Hanuman Puja : આ એક ભોગ કરી દો અર્પણ, મિલકત અને નોકરીનું સુખ પ્રદાન કરશે મહાવીર હનુમાન
ઘણીવાર એવું બને કે ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, કિસ્મતનો (Luck) સાથ જ ન મળે ! આ સંજોગોમાં ભાગ્યોદય અર્થે મંગળવારે કે શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી.
હનુમાનજી (Hanumanji) એ કષ્ટભંજન દેવ (Kashtbhanjan dev) તરીકે પ્રસિદ્ધ છે. મંગળવાર (Tuesday) અને શનિવારના રોજ હનુમાન ઉપાસનાનો સવિશેષ મહિમા છે. આ દિવસોમાં ભક્તો આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે. પરંતુ, શું આપ જાણો છો, કે પવનસુતને મનભાવન મહાભોગ અર્પણ કરીને તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો ? આવો, આજે એ જાણીએ કે કયા દ્રવ્યથી અંજનીનંદનના પગ ધોવા જોઈએ અને તેમને નૈવેદ્યમાં એવું તો શું અર્પણ કરવું જોઈએ કે જેનાથી તે ઝડપથી પ્રસન્ન થાય અને તમામ કામનાઓને સિદ્ધ કરી દે !
સંપત્તિનું સુખ
⦁ સંપત્તિના સુખની ઈચ્છા કે મિલકત વધારવાની મનશા ભલાં કોને નથી હોતી ! કહે છે કે અભિષેક અને મહાભોગ દ્વારા મહાવીર હનુમાનજીને પ્રસન્ન કરીને મિલકતના આશિષ પ્રાપ્ત કરી શકાય છે.
⦁ મંગળવાર કે શનિવારના રોજ શુદ્ધ જળ, દૂધ અને મધથી હનુમાન પ્રતિમાનું પગ પ્રક્ષાલણ કરવું.
⦁ પ્રભુને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી.
⦁ પિત્તળની થાળીમાં 11 લવિંગ, 11 ઇલાયચી, 11 નાગરવેલના પાન, એક દાડમના દાણાં રાખીને હનુમાનજીને ભોગ અર્પણ કરો.
⦁ 2 આચમની જળ મૂકો.
⦁ શક્ય હોય તો નિત્ય જ આ કાર્ય કરવું. દરરોજ ન થઈ શકે તો મંગળવાર કે શનિવારે જરૂરથી કરવું.
⦁ કહે છે કે પવનસુતને આ ભોગ લગાવવાથી વ્યક્તિની મિલકત માટેની મનશા પરિપૂર્ણ થાય છે.
નોકરી અને ધંધા-રોજગાર
⦁ નોકરી ન મળી રહી હોય, વ્યવસાયમાં નુકસાની આવી રહી હોય કે પ્રગતિ અટકી ગઈ હોય ત્યારે હનુમાનજી સંબંધી આ ઉપાય ફળદાયી બની શકશે.
⦁ ઉત્તર દિશામાં મુખ રાખીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ઉપાસના કરવા બેસવું.
⦁ ગાયના દૂધમાં દહીં, સાકર અને ખૂબ જ થોડું જળ ઉમેરવું. ત્યારબાદ તે દ્રવ્યથી હનુમાન પ્રતિમાના પગ ધોવા.
⦁ હનુમાનજીને સફેદ ધોતી અને લાલ વસ્ત્ર ધારણ કરાવો.
⦁ પ્રભુને પિત્તળની થાળીમાં બુંદીના લાડુ, પતાશા, પાન, સોપારી, લવિંગ અને ઇલાયચીનો ભોગ લગાવો.
⦁ હનુમાનજીને ભોગની સાથે તુલસીદળ અવશ્ય અર્પણ કરો.
⦁ કહે છે કે આ પૂજા સુંદર અને ઉત્તમ ફળ આપનારી છે. અને તે વ્યક્તિના નોકરી કે ધંધા-રોજગાર સંબંધી સઘળા મનોરથોને સિદ્ધ કરી દે છે.
ભાગ્યોદય અર્થે
⦁ ઘણીવાર એવું બને કે ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, કિસ્મતનો સાથ જ ન મળે ! આ સંજોગોમાં ભાગ્યોદય અર્થે મંગળવારે કે શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી.
⦁ હનુમાનજીને લાલ રંગના વસ્ત્ર અને હળદરથી રંગેલી જનોઇ અર્પણ કરો. તેમજ પીળા સિંદૂરનું તિલક લગાવો.
⦁ કેરી, પીપળ, ગૂલેરના પાન પર શ્રીરામ લખીને માળા બનાવીને તે માળા હનુમાનજીને અર્પણ કરો.
⦁ પ્રભુને ચાંદીની થાળીમાં સીતાફળ કે દાડમનો ભોગ અર્પણ કરો.
⦁ 5 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.
⦁ કપૂરથી હનુમાનજીની વિધિવત્ આરતી કરો.
⦁ માન્યતા અનુસાર આ દરેક ઉપાય દરિદ્રતા દૂર કરનાર, સંપન્નતા આપનાર અને સુવિચાર આપનાર છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)