ગણેશજીને અર્પણ કરી દો આ 5 વસ્તુ, જીવન ખુશીઓથી ભરાઈ જશે !
ફળ પ્રસાદ રૂપે શ્રીગણેશને (lord ganesha) કેળા અર્પણ કરવાની પરંપરા છે. પરંતુ, શું આપ એ વાત જાણો છો કે વિઘ્નહર્તાને હંમેશા જોડમાં જ કેળા અર્પણ કરવા જોઈએ ! એટલે કે ગણેશજીને ક્યારેય પણ એક કેળું અર્પણ ન કરવું.
ભગવાન શ્રીગણેશ (lord ganesha) એટલે તો મંગળકર્તા દેવ. શુભકર્તા દેવ. કહે છે કે જે મનુષ્ય આસ્થા સાથે વિઘ્નહર્તાનું શરણું લઈ લે છે, તેના જીવનના સઘળા કષ્ટ ગણપતિના આશીર્વાદથી (ganpati blessings) નષ્ટ થઈ જાય છે. આમ તો ભક્તો શ્રદ્ધા (Faith) સાથે શ્રીગણેશની આરાધના કરતા જ હોય છે. પણ, કહે છે કે જો એકદંતાને તેમને અત્યંત પ્રિય એવી પાંચ વસ્તુઓ ભાવથી અર્પણ કરવામાં આવે, તો તે વિશેષ પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, તેમના ભક્તોને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. ત્યારે, આવો એ જાણીએ કે શ્રીગણેશને ખાસ શું અર્પણ કરવું જોઈએ.
મોદકના લાડુ
ગણેશજી તો લડ્ડુપ્રિય દેવતા છે. એટલે કે તેમને લાડુનો ભોગ અત્યંત પસંદ છે. શ્રીગણેશને બુંદીના લાડુ ખૂબ જ પ્રિય હોવાનું મનાય છે. તો સાથે જ નારિયેળ, તલ કે સોજીના લાડુ પણ તમે તેમને અર્પણ કરી શકો છો. એમાં પણ સવિશેષ તો વિઘ્નહર્તાને મોદક લાડુ ખૂબ જ ભાવે છે. આમ તો આ મોદક પણ વિવિધ પ્રકારથી બનાવવામાં આવે છે. પણ, કહે છે કે જ્યારે તમે વિનાયકને આ મોદકનો લાડુ અર્પણ કરવા ઈચ્છતા હોવ ત્યારે તે શુદ્ધ ઘીમાંથી બનેલો હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. અલબત્, જો આમાંથી કંઈ ન થઈ શકે તો આપ તેમને ઘી-ગોળનો ભોગ પણ લગાવી શકો છો.
દૂર્વા
એ તો બધાં જ ભક્તો જાણે છે કે એકદંતાને દૂર્વા અત્યંત પ્રિય છે. એ હદે કે દૂર્વા વિના તો વિનાયકની પૂજા જ અપૂર્ણ મનાય છે. પરંતુ, ગજાનનને અર્પણ થતી આ દૂર્વાના ઉપરના ભાગે ત્રણ કે પાંચ પાંદડીઓ હોય તો તે વધારે શ્રેષ્ઠ બની રહેશે.
કેળાનો પ્રસાદ
ફળ પ્રસાદ રૂપે શ્રીગણેશને કેળા અર્પણ કરવાની પરંપરા છે. પરંતુ, શું આપ એ વાત જાણો છો કે વિઘ્નહર્તાને હંમેશા જોડમાં જ કેળા અર્પણ કરવા જોઈએ ! એટલે કે ગણેશજીને ક્યારેય પણ એક કેળું અર્પણ ન કરવું. પણ, જોડમાં જ તેમને કેળું ધરાવવું જોઈએ.
પુષ્પ
આચાર ભૂષણ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે તે અનુસાર શ્રીગણેશને તુલસીપત્ર સિવાય તમામ પ્રકારના પુષ્પ અર્પણ કરી શકાય છે. પદ્મપુરાણ આચારરત્નમાં પણ જણાવવામાં આવ્યું છે કે “ન તુલસ્યા ગણાધિપમ” અર્થાત્ તુલસીથી ગણેશજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. અલબત્, પુષ્પમાં તેમને જાસૂદનું પુષ્પ સવિશેષ પ્રિય હોવાની માન્યતા છે. તો ગણેશ પૂજામાં આ પુષ્પનો પ્રયોગ જરૂરથી કરવો જોઈએ.
સિંદૂર
ગણેશજીને સિંદૂર અર્પણ કરવાની પણ પરંપરા છે. સિંદૂર એ ‘મંગલતા’નું પ્રતિક છે. વિઘ્નહર્તાને લાલ રંગનું સિંદૂર અત્યંત પ્રિય છે. એટલે પ્રભુને નિત્ય સ્નાન કરાવ્યા બાદ તેમને લાલ રંગનું સિંદૂર અર્પણ કરવું. ત્યારબાદ સ્વયંના મસ્તક ઉપર પણ લાલ સિંદૂરથી તિલક કરવું. આવું તમે દરરોજ કરી શકો છો. આવું કરવાથી શ્રીગણેશના આશિષની પ્રાપ્તિ થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
આ વસ્તુઓ ઉપરાંત વિઘ્નહર્તાને સોપારી, આખી હળદર, નાડાછડી તેમજ જનોઈ અર્પણ કરવાની પણ પરંપરા છે. કહે છે કે આ વસ્તુઓથી એકદંતા સવિશેષ પ્રસન્ન થઈ ભક્તના સઘળા સંકટોનો નાશ કરી દે છે. અને તેને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)