Parshuram Jayanti 2021: ભગવાન પરશુરામે ક્ષત્રિય કુળનો નહીં પરંતુ, આ વંશનો 21 વખત કર્યો હતો સર્વનાશ, જાણો રોચક કથા
પરશુરામ જયંતિ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.
Parshuram Jayanti 2021: 14 મે 2021 ને શુક્રવારે અક્ષય તૃતીયા છે. પરશુરામ જયંતિ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. પરશુરામજીને લગતી ઘણી કથાઓ છે, જેમાંથી એક કથા અનુસાર ભગવાન પરશુરામે 21 વાર ક્ષત્રિય કુળનો સર્વનાશ કર્યો હતો. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. પૌરાણિક કથા અનુસાર, પરશુરામે ક્ષત્રિય કુળનો નાશ કર્યો ન હતો, પરંતુ હૈહય વંશનો વિનાશ કર્યો હતો.
પૌરાણિક કથા અનુસાર, હૈહય રાજવંશના રાજા સહસ્ત્રાર્જુન પોતાના બળ અને ઘમંડને કારણે ઋષિમુનિઓ અને બ્રાહ્મણો પર અત્યાચાર કરતો હતો. એકવાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સાથે પરશુરામજીના પિતાના આશ્રમમાં પહોંચ્યા. મુનિએ ચમત્કારિક કામધેનું ગાયનું દૂધ આપીને રાજા સહિત તમામ સૈનિકોની ભૂખ શાંત કરી.
કથા અનુસાર કામધેનુંના ચમત્કારથી પ્રભાવિત થઈ રાજા સહસ્ત્રાર્જુનને લાલચ થઈ અને બળપૂર્વક ભગવાન પરશુરામના પિતા પાસેથી તેમની ગાય છીનવી લીધી. ભગવાન પરશુરામને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે રાજાનો વધ કર્યો.
એવું કહેવામાં આવે છે કે, રાજા સહસ્ત્રાર્જુનના પુત્રોએ તેમના પિતાનો બદલો લેવા ભગવાન પરશુરામના પિતાનો વધ કર્યો હતો. પતિના વિયોગમાં ભગવાન પરશુરામની માતા સતી થયા હતા. એવું માનવામાં આવે છે કે, પિતાના શરીર પરના 21 ઘાને જોઇ ભગવાન પરશુરામે પ્રતિજ્ઞા લીધી કે, તેઓ આ વંશનો નાશ કરશે. આથી જ ભગવાન પરશુરામે 21 વખત હૈહય રાજવંશનો અંત કર્યો.