જાણી લો સૂર્યનારાયણને પ્રસન્ન કરવાના આ પૌરાણિક નિયમ, અનિષ્ટ તત્વોથી રક્ષા કરશે સૂર્યદેવતા !
જ્યારે ગોચરમાં સૂર્ય અનિષ્ટકારક હોય તો વ્યક્તિએ સ્નાન કરતી વખતે જળમાં ખસખસ, લાલ રંગના પુષ્પ કે કેસર ઉમેરીને સ્નાન કરવું. આ પ્રયોગ ખૂબ શુભ માનવામાં આવે છે. આ પ્રયોગથી અનિષ્ટથી બચી શકાય છે. સાથે જ વ્યક્તિની રોગપ્રતિરોધક શક્તિનો વિકાસ થાય છે.
સૂર્યદેવતા એ પ્રત્યક્ષ દેવતા મનાય છે. વળી, તે નવગ્રહોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. જેને લીધે સૂર્યની શાંતિ કરવી જરૂરી મનાય છે. કહે છે કે કેટલાંક ખાસ નિયમો અપનાવીને તમે સૂર્યની શાંતિ કરી શકો છો. સાથે જ તમારા જીવનને પણ તેજસ્વી બનાવી શકો છો. સૂર્યની શાંતિ માટે નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન, જપ, હોમમંત્ર કરવા જોઈએ. સૂર્ય સંબંધિત વસ્તુઓને જળમાં ઉમેરી સ્નાન કરવું પણ સૂર્યનારાયણના ઉપાયોમાં ગણાય છે. ત્યારે આવો, આજે આપણે સૂર્ય શાંતિ માટેની વિધિઓની વાત કરીએ. કે જે ગોચરમાં સૂર્યના અનિષ્ટ પ્રભાવને દૂર કરવામાં વિશેષ લાભદાયક સાબિત થઈ શકે છે.
સ્નાન દ્વારા !
⦁ જ્યારે ગોચરમાં સૂર્ય અનિષ્ટકારક હોય તો વ્યક્તિએ સ્નાન કરતી વખતે જળમાં ખસખસ, લાલ રંગના પુષ્પ કે કેસર ઉમેરીને સ્નાન કરવું. આ પ્રયોગ ખૂબ શુભ માનવામાં આવે છે.
⦁ ખસખસ, લાલ રંગના પુષ્પ કે કેસર આ દરેક વસ્તુઓ સૂર્યની કારક વસ્તુઓ છે. તથા સૂર્યના ઉપાય કરવાથી અન્ય અનિષ્ટથી બચી શકાય છે. સાથે જ વ્યક્તિમાં રોગપ્રતિરોધક શક્તિનો વિકાસ થાય છે.
⦁ સૂર્ય સંબંધી આ ઉપાય કરવાથી વ્યક્તિના પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતાઓ પણ વધી જાય છે.
⦁ સૂર્ય સંબંધી આ વસ્તુઓથી સ્નાન કરવાથી સૂર્યની વસ્તુઓના ગુણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. અને તેનાથી વ્યક્તિના શરીરમાં સૂર્યના ગુણોની વૃદ્ધિ થાય છે.
સૂર્ય સંબંધીત વસ્તુઓનું દાન !
⦁ સૂર્યની કારક વસ્તુઓનું દાન કરવાથી પણ સૂર્યના અનિષ્ટ પ્રભાવથી બચી શકાય છે. સૂર્યની કારક વસ્તુઓ કે જેનું દાન કરવું જોઇએ તેમાં તાંબુ, ગોળ, ઘઉં, મસૂરની દાળનો સમાવેશ થાય છે. આ વસ્તુઓનું દાન દર રવિવાર કે સૂર્ય સંક્રાંતિના દિવસે કરવું લાભદાયક સાબિત થાય છે.
⦁ આ ઉપાયમાં દરેક વસ્તુઓનું એકસાથે પણ દાન કરી શકાય છે. દાન કરતા સમયે વસ્તુઓનું વજન આપના સામર્થ્ય અનુસાર રાખી શકાય છે.
⦁ દાન આપવાની વસ્તુઓને વ્યક્તિએ પોતે જ પોતાના ધનથી ખરીદીને આપવી જોઇએ.
⦁ જેના માટે દાન કરવાનું છે તેની ઉંમર નાની હોય, અથવા કોઇ કારણસર તે વ્યક્તિ સ્વયં તે વસ્તુનું દાન કરી શકે તેમ ન હોય, તો જે તે વ્યક્તિના પરિવારની કોઇ નજીકની વ્યક્તિ પણ તેના તરફથી દાન કરી શકે છે.
⦁ દાન કરતી વખતે વ્યક્તિએ સૂર્યનારાયણ ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા જોઇએ. જો આપને આ કાર્ય પર વિશ્વાસ કે આસ્થા નહીં હોય તો કાર્યનું શુભફળ પ્રાપ્ત નહીં થાય !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)