ભારતમાં આ સ્થાન પર છે સ્વર્ગમાં જવાનો રસ્તો, અહીંથી જ પાંડવોએ શરૂ કરી હતી સ્વર્ગની યાત્રા !
દ્વાપર યુગમાં પાંડવો અને દ્રૌપદીએ જે સ્થળેથી સ્વર્ગની યાત્રા શરૂ કરી હતી તે સ્થાન આજે પણ સ્થિત છે. જાણો મહાભારત સાથે જોડાયેલી આ સ્થાનની કથા.
કહેવાય છે કે સ્વર્ગની યાત્રા મૃત્યુ બાદ જ શક્ય છે. પરંતુ ભારતમાં એક એવું સ્થાન છે જેનો રસ્તો સ્વર્ગ તરફ જાય છે. એવું માનવામાં આવે છે કે દ્વાપરયુગમાં આ સ્થાનથી પાંડવો અને દ્રૌપદીએ સ્વર્ગની યાત્રા શરૂ કરી હતી.
આ યાત્રામાં માત્ર ધર્મરાજ યુધિષ્ઠિર સફળ રહ્યા હતા. તેના અન્ય ભાઈઓ અને દ્રૌપદીનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરને અંત સુધી એક કૂતરાએ સાથ આપ્યો હતો.
આ સ્થાન ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ પાસે છે અને તે સ્વર્ગારોહિણી તરીકે ઓળખાય છે. દરિયાની સપાટીથી આશરે 15000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સ્વર્ગારોહિણીની સુંદરતા એટલી અદભૂત છે કે એકવાર વ્યક્તિ ત્યાં પહોંચ્યા પછી તેને પાછા ફરવાનું મન થતું નથી. આ વિસ્તાર આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મેથી ઓક્ટોબરની વચ્ચે માનવામાં આવે છે.
આ યાત્રા ખૂબ જ મુશ્કેલ છે
સ્વર્ગારોહિણીની આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. બદ્રીનાથથી લગભગ 28 કિમીની આ યાત્રા તમામ મુશ્કેલ પડાવોમાંથી પસાર થાય છે. મુસાફરી દરમિયાન, બદ્રીનાથથી માણા ગામનું અંતર, 3 કિમી દૂર છે જે માટે વાહન દ્વારા મુસાફરી કરી શકાય છે, પરંતુ તે પછી યાત્રાળુઓએ 25 કિમી પગપાળા મુસાફરી કરવી પડે છે. આ દરમિયાન યાત્રાળુઓને વિશાળ જંગલ ‘લક્ષ્મી વન’ પાર કરવું પડે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન નારાયણની તપસ્યા દરમિયાન, લક્ષ્મીજીને આ વનમાં જ વસવાટ કરવાનું વરદાન મળ્યું હતું. ત્યારબાદ યાત્રાળુઓ સહસ્ત્રધારા અને ચક્રતીર્થનો આનંદ માણી શકે છે અને છેલ્લા પડાવ પર સતોપંથ તળાવ જોવા મળે છે.
સતોપંથ તળાવની પરિક્રમા પુણ્યદાયી માનવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે પાંડવોએ સ્વર્ગની યાત્રા શરૂ કરતા પહેલા સતોપંથ તળાવમાં સ્નાન કર્યું હતું. અલકનંદા નદી અહીંથી નીકળે છે. લોકો આ તળાવની પરિક્રમા પણ કરે છે, આમ કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. સતોપંથ તળાવથી ચાર કિમીના ચઢાણ બાદ સ્વર્ગારોહિણીના દર્શન થાય છે. આ સમગ્ર યાત્રામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે.
આ પણ વાંચો : Shradh Paksh 2021: કેમ કરવું જોઈએ શ્રાદ્ધ ? પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ કામ !
આ પણ વાંચો : Pitru Pakshan / Shradh 2021: જાણો કયારથી શરૂ થાય છે શ્રાદ્ધ, કઈ તારીખે છે કયું શ્રાદ્ધ, આ રહ્યું લિસ્ટ