શુક્રવારે કરો માત્ર એક સરળ મંત્ર અને મેળવો સુખરૂપ જીવનના આશિર્વાદ !
શુક્રવારે આસ્થા સાથે કરવામાં આવેલી પૂજા અને દુર્ગામાતાનો આ વિશિષ્ટ મંત્ર આપને લક્ષ્મી, સરસ્વતી, અને મહાકાલી ત્રણેયની કૃપાની પ્રાપ્તિ કરાવશે અને સાથે જ આપશે સુખરૂપ જીવનના આશિષ.
આપણે ત્યાં દરેક વાર કોઈ દેવી દેવતાને સમર્પિત રહ્યો છે. એવી જ રીતે શુક્રવાર આદ્યશક્તિની (AADHYASHAKTI) આરાધના માટે ઉત્તમ મનાય છે. એમાં પણ ખાસ કરીને માતા લક્ષ્મી અને માતા સંતોષીની કૃપાને પ્રાપ્ત કરવા લોકો શુક્રવારનું વ્રત પણ કરતા હોય છે. અમે આપને જણાવીશું કે શુક્રવારને કઈ રીતે આપ બનાવી શકશો સુખરૂપ વાર. કારણકે જીવનની વ્યસ્તતા, ભાગદોડ એ માત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જ તો હોય છે. લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જ તો અલગ અલગ વ્રત, ઉપવાસ અને કેટલાક વિશિષ્ટ ઉપાય પણ અજમાવતા હોય છે. જો કોઈ એવો સરળ મંત્ર મળી જાય કે જેનાથી આપની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય તો ?
ત્યારે આજે અમે આપને એક એવો સરળ મંત્ર અને ખાસ વિધિ-વિધાન જણાવીશું કે જેનાથી આપ એક સાથે આદ્યશક્તિના ત્રણ-ત્રણ રૂપને પ્રસન્ન કરી શકશો. આજે અમે આપને જણાવીશું માતા દુર્ગાનો એક મંત્ર જે આપને દુર્ગામાતાની સાથે દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને માતા કાલી એટલે કે શક્તિના ત્રણેય સ્વરૂપની કૃપાને પ્રાપ્ત કરાવશે. લૌકિક માન્યતા અનુસાર મંત્ર જાપની સાથે સાથે કેટલાક ખાસ વિધિ વિધાનથી જો શક્તિ સ્વરૂપાની આરાધના કરવામાં આવે તો ચોક્કસથી વ્યક્તિને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ કે કઈ રીતે શુક્રવારની આ પૂજા ખોલશે આપના સુખના દ્વાર ? ⦁ સૌપ્રથમ શુક્રવારના દિવસે નિત્યક્રમ કરી માતા દુર્ગાનું આહ્વાન કરવું જોઈએ. ⦁ ત્યારબાદ માતા દુર્ગાની મૂર્તિને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ માતાની પ્રતિમાને પંચામૃતથી અને ત્યારબાદ ફરી જળથી સ્નાન કરાવવું જોઈએ. ⦁ સ્નાન કરાવ્યા બાદ માતાની મૂર્તિને વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. ⦁ ત્યારબાદ માતાને સુંદર આભૂષણ અને પુષ્પ તથા પુષ્પમાળા અર્પણ કરવી જોઈએ. ⦁ માતા દુર્ગાની મૂર્તિને કંકુ અર્પણ કરવું. ⦁ એવું કહેવાય છે ત્રિદેવીના આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટે માતા દુર્ગાની મૂર્તિને આખા 21 ચોખા અર્પણ કરવા. ⦁ દેવીને નૈવેદ્ય અર્પણ કરી તેની આરતી ઉતારી લો. ખાસ યાદ રાખો માતાજીને નાળિયેરનો ભોગ અવશ્ય લગાવવો જોઈએ. ⦁ પૂજા દરમિયાન દેવીના વિશેષ મંત્ર ઓમ શ્રી દૂર્ગાય નમ: મંત્રનો જેટલો થઇ શકે એટલો જાપ કરવો. તમે તમારા દિવસની શરુઆત પણ આ મંત્રના જાપથી કરી શકો છો. કહેવાય છે કે આ રીતે આસ્થા સાથે કરવામાં આવેલી પૂજા અને દુર્ગામાતાનો આ વિશિષ્ટ મંત્ર આપને લક્ષ્મી, સરસ્વતી, અને મહાકાલી ત્રણેયની કૃપાની પ્રાપ્તિ કરાવશે.