હનુમાન ચાલીસાની આ પંક્તિઓ જીવન વ્યવસ્થાપન શિખવે છે, નિયમીત પાઠથી મળે છે સફળતા
હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ન માત્ર બજરંગબલીના આશીર્વાદ મળે છે પરંતુ તેમાં જીવન જીવવાની કળા પણ છુપાયેલી છે. હનુમાન ચાલીસામાં કુલ 40 શ્લોક છે, જેમાં જીવન વ્યવસ્થાપનના સૂત્રો પણ છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાન કલયુગના દેવતા છે અને આજે પણ આ પૃથ્વી પર જાગૃત અવસ્થામાં વિરાજમાન છે. જે ભક્ત સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, તેની પરેશાનીઓ તરત જ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા ખૂબ જ સરળ માનવામાં આવે છે અને તેઓ એવા દેવતા છે જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. હિંદુ શાસ્ત્રો અનુસાર રામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ.
જે ભક્ત હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે, તેના તમામ દુ:ખ અને પીડાઓ દૂર થઈ જાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ન માત્ર બજરંગબલીના આશીર્વાદ મળે છે પરંતુ તેમાં જીવન જીવવાની કળા પણ છુપાયેલી છે. હનુમાન ચાલીસાની કુલ 40 ચોપાઈઓ છે, જેમાં જીવન વ્યવસ્થાપનના સૂત્રો છે, જેને અપનાવવાથી ન માત્ર આત્મવિશ્વાસ વધે છે પરંતુ દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળે છે, આવો જાણીએ હનુમાન ચાલીસાની કેટલીક ચોપાઈઓનું મહત્વ.
बिद्यावान गुनी अति चातुर,राम काज करिबे को आतुर
અર્થ- તમે બધા ગુણોથી સંપન્ન વિદ્વાન છો, ગુણવાનની સાથે ચતુર પણ છો. ભગવાન રામનું કાર્ય કરવા માટે તમે હંમેશા ઉત્સુક છો.
જીવન સૂત્ર– જ્ઞાનની સાથે સાથે ચારિત્ર્ય અને ગુણવત્તા પણ હોવી જોઈએ.
આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં સારું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તેનો અર્થ માત્ર ડિગ્રી મેળવવાનો નથી. જ્ઞાન મેળવવાની સાથે વ્યક્તિમાં સારા ગુણો કેળવવા પણ જરૂરી છે. બુદ્ધિની સાથે સાથે ચતુરાઈથી કેવી રીતે કામ કરવું તે પણ જાણવું જોઈએ.
श्रीगुरु चरन सरोज रज,निज मनु मुकुरु सुधारि
અર્થ- આપણાં ગુરુના ચરણોની ધૂળથી આપણાં મનના દર્પણને સાફ કરું છું
જીવન સૂત્ર– હંમેશા વડીલોનું સન્માન કરો
ગુરુનું મહત્ત્વ ચાલીસાના પહેલાં દોહાની પહેલી લાઇનમાં લખવામાં આવ્યું છે. જીવનમાં ગુરુ નથી તો તમને કોઇ આગળ વધારી શકશે નહીં. ગુરુ જ તમને યોગ્ય રસ્તો બતાવી શકે છે. એટલે તુલસીદાસે લખ્યું છે કે, ગુરુના ચરણોની ધૂળથી મનના દર્પણને સાફ કરું છું. આજના સમયગાળામાં ગુરુ આપણાં મેન્ટર પણ હોઇ શકે છે અને બોસ પણ. માતા-પિતાને પહેલાં ગુરુ જ કહેવામાં આવ્યાં છે. સમજવાની વાત એ છે કે, ગુરુ એટલે પોતાનાથી મોટા વડીલોનુ સન્માન કરવું જરૂરી છે. જો ઉન્નતિની રાહ પર આગળ વધવું હોય તો વિનમ્રતા સાથે વડીલોનુ સન્માન કરો.
कंचन बरन बिराज सुबेसा,कानन कुंडल कुंचित केसा
અર્થ – તમારા શરીરનો રંગ સોનાની જેમ ચમકીલો છે. સારા વસ્ત્ર પહેરેલાં છે, કાનમાં કુંડળ ધારણ કર્યાં છે અને વાળ પણ ઓળેલાં છે.
જીવન સૂત્ર – મન સ્વચ્છ અને સાફ રાખો
આજના સમયગાળામાં તમારી ઉન્નતિ આ વાત ઉપર નિર્ભર કરે છે કે, તમે કેવા દેખાવ છો. ફર્સ્ટ ઇમ્પ્રેશન સારી હોવી જોઇએ. જો તમે ખૂબ જ ગુણવાન પણ છો પરંતુ સારી રીતે રહેતાં નથી તો આ વાત તમારા કરિયરને પ્રભાવિત કરી શકે છે. એટલ રહેણી-કરણી અને ડ્રેસઅપ હંમેશાં સારું રાખો.
प्रभु चरित सुनिबे को रसिया,राम लखन सीता मन बसिया
અર્થ –તમે રામ કથા સાંભળવા હંમેશા ઉત્સુક છો. રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેય તમારા મનમાં વસે છે.
જીવન સુત્ર- હંમેશા સારા શ્રોતા બનવાનો પ્રયત્ન કરો
હનુમાન ચાલીસાની આ ચોપાઈનો જીવન સાર એ છે કે હંમેશા માત્ર બોલવાનું જ તમારું કામ ન હોવું જોઈએ, પરંતુ તમારે બીજાની વાત પણ દિલથી સાંભળવી જોઈએ. જે લોકો હંમેશા બીજાની વાત ધ્યાનથી સાંભળે છે અને પછી પોતાનો અભિપ્રાય રાખે છે, તેમનામાં નેતૃત્વની ગુણવત્તા વિકસે છે.
सूक्ष्म रूप धरि सियहिं दिखावा,बिकट रूप धरि लंक जरावा
અર્થ- તુલસીદાસજી આ ચોપાઈમાં હનુમાનજીના ગુણોનું ગુણગાન કરતા કહે છે કે ભગવાન તમે અશોક વાટિકામાં માતા સીતા સામે તમારા નાનકડા સ્વરૂપમાં પ્રગટ થયા હતા અને જ્યારે લંકા બાળવાનો સમય આવ્યો ત્યારે તમે એક વિશાળ રૂપ ધારણ કર્યું હતું.
જીવન સૂત્ર – હંમેશા વ્યવહારુ બનો
જીવનને સફળ બનાવવા માટે સંજોગો પ્રમાણે અનુકૂલન સાધવું જોઈએ. માણસે પોતાની શક્તિને ઓળખીને પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ. જેમ કે હનુમાનજીએ કર્યું, જ્યારે તેઓ સીતાજીને મળ્યા, ત્યારે તેમણે તેમની સામે એક નાનકડા વાનરનું રૂપ ધારણ કર્યું અને જ્યારે લંકા ભસ્મીભૂત થઈ, ત્યારે તેઓ વિશાળ સ્વરૂપમાં આવ્યા.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.