grishneshwar jyotirlinga : કેવી રીતે થયું ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય ? જાણો અંતિમ જ્યોતિર્લિંગના દર્શનની મહત્તા
શ્રાવણ માસમાં મહેશ્વરના ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના (Ghrishneshwar Jyotirlinga) આ જ્યોતિર્મય સ્વરૂપના દર્શનનો સવિશેષ મહિમા છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાદેવનું આ દિવ્ય રૂપ ભક્તોને સુરક્ષા પ્રદાન કરનારું છે.
પવિત્ર શ્રાવણ માસમાં (shravan2022) દ્વાદશ જ્યોતિર્લિંગની મહત્તાને જાણતા આજે આપણે અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યા છીએ. આ પડાવ એટલે દ્વાદશ જ્યોતિર્લિંગમાં (12 jyotirlinga) અંતિમ જ્યોતિર્લિંગ, અને આ અંતિમ જ્યોતિર્લિંગ એટલે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગમાં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ (grishneshwar jyotirlinga) એ બારમું સ્થાન ધરાવે છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વેરુલ નામના ગામમાં સ્થિત છે. આ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ એ ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ તેમજ ઘુસૃણેશ્વર જ્યોતિર્લિંગના નામે પણ પ્રસિદ્ધ છે.
મંદિર માહાત્મ્ય
ઘૃષ્ણેશ્વર મહાદેવનું હાલનું મંદિર એ ઈન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર દ્વારા નિર્મિત છે. તે વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મંદિરનું ગર્ભગૃહ સભામંડપથી થોડું નીચું છે. મંદિરના ગર્ભગૃહમાં પૂર્વાભિમુખ શિવલિંગ પ્રસ્થાપિત છે. ઘૃષ્ણેશ્વર મહાદેવને નિત્ય અદભૂત શણગાર કરવામાં આવે છે. જેમના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અલબત્, શ્રાવણ માસમાં મહેશ્વરના આ જ્યોતિર્મય સ્વરૂપના દર્શનનો સવિશેષ મહિમા છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાદેવનું આ દિવ્ય રૂપ ભક્તોને સુરક્ષા પ્રદાન કરનારું છે.
ઘૃષ્ણેશ્વર પ્રાગટ્ય કથા
શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 32-33માં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથાનું વર્ણન મળે છે. શિવપુરાણમાં આ જ્યોતિર્લિંગનું ઘુશ્મેશ્વરના નામે જ વર્ણન મળે છે. તેમાં વર્ણિત કથા અનુસાર દક્ષિણ દેશમાં દેવગિરિ નામના પર્વતની નજીક સુધર્મા નામનો બ્રાહ્મણ તેની પત્ની સુદેહા સાથે નિવાસ કરતો. આ શિવભક્ત દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. આખરે, સુદેહાએ જીદ કરી તેની જ બહેન ઘુશ્મા સાથે સુધર્માના બીજા લગ્ન કરાવ્યા. સાથે જ પતિને વચન પણ આપ્યું કે તે ક્યારેય તેની બહેનની ઈર્ષ્યા નહીં કરે. સ્વયં સુદેહાની આજ્ઞાથી જ ઘુશ્માએ નિત્ય એકસો પાર્થિવ લિંગ બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરવાનું શરૂ કર્યું. શિવજીની કૃપાથી તેને સુંદર અને સદગુણી પુત્રની પ્રાપ્તિ થઈ. ઘુશ્માનું માન વધ્યું અને તે સાથે જ સુદેહા ઈર્ષ્યાથી બળવા લાગી.
યુવા અવસ્થાએ પહોંચતા જ ઘુશ્માના પુત્રના લગ્ન થયા. પણ, ત્યાં સુધીમાં સુદેહાની ઈર્ષ્યા એટલી વધી ચૂકી હતી કે તેણે એક રાત્રિએ ઘુશ્માના પુત્રની હત્યા કરી દીધી. અને પછી તેના ટુકડાં કરી તેને એ જ તળાવમાં જઈને નાંખી દીધાં કે જ્યાં ઘુશ્મા નિત્ય પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરતી. બીજા દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. પણ, ઘુશ્માએ જરાય વિચલિત થયા વિના વિચાર્યું કે, “જેમણે પુત્ર આપ્યો હતો, તે જ પુત્રની રક્ષા કરશે !” આમ વિચારતા જ ઘુશ્માએ પોતાના પુત્રને તળાવ કિનારે સજીવન જોયો. પણ, ઘુશ્મા તો વિષાદ અને હર્ષની લાગણીથી જ પર હતી. ત્યારે ભક્તવત્સલ મહાદેવ પ્રગટ થયા. અને ઘુશ્મા સાથે અનિષ્ટ કરનાર સુદેહાને મારવા ધસ્યા. કહે છે કે ત્યારે ઘુશ્માએ તેમને રોકી પોતાની મોટી બહેનને ક્ષમા કરવા પ્રાર્થના કરી. ઘુશ્માની આ કરુણાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઘુશ્માએ ભક્તોની રક્ષાર્થે મહાદેવે ત્યાં જ વિદ્યમાન થવા પ્રાર્થના કરી. આખરે, દેવાધિદેવ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના રૂપે બિરાજમાન થયા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)