Narad Jayanti 2022: કેવી રીતે થયું નારદમુનિનું પ્રાગટ્ય ? જન્મ સમયે પિતા બ્રહ્માજીએ શા માટે પુત્ર નારદને આપ્યો શ્રાપ ?
પરમપિતા બ્રહ્માજીના શ્રાપને પણ નારદમુનિ (Narad Muni)એ સહર્ષ સ્વીકારી લીધો અને પછી નીકળી પડ્યા શ્રીહરિની અખંડ સાધના માટે. નારદમુનિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની પ્રાપ્તિ કરી. નારાયણે પ્રસન્ન થઈ નારદમુનિને ‘મહતી’ નામની વીણા આપી.
આજે છે વૈશાખ વદ એકમ. શાસ્ત્રો (SHASHTRA) અનુસાર એ દિવસ કે જે દિવસે બ્રહ્માજીના માનસપુત્ર નારદજીનું પ્રાગટ્ય થયું હતું. દેવર્ષિ નારદ (NARAD) એટલે તો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત. “નારાયણ….નારાયણ…..”ના જાપ સાથે નિરંતર વિચરણ કરતા રહેતા નારદમુનિને લોકો શ્રીહરિ(SHREE HARI)ના શ્રેષ્ઠતમ ભક્ત માને છે. અલબત્ દેવર્ષિ નારદ સ્વયં પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર મનાય છે ! શાસ્ત્રો અનુસાર તો દેવર્ષિ નારદ એ ભગવાન વિષ્ણુના જ 24 અવતારોમાંથી એક છે. ત્યારે આવો આજે એ જાણીએ કે કેવી રીતે થયું નારદમુનિનું પ્રાગટ્ય ? અને આ પ્રાગટ્ય સાથે જ તેમને કોણે અને શા માટે આપી દીધો ભયંકર શ્રાપ ?
નારદમુનિની સૃષ્ટિના સર્જનકર્તા બ્રહ્માજીના સાત માનસ પુત્રોમાં ગણના થાય છે. શ્રીમદ્ દેવીભાગવત અનુસાર આદિશક્તિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સર્જન કર્યું અને પછી ત્રણેય દેવોને અનુક્રમે સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારની જવાબદારી સોંપી. જે અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. અને ત્યારબાદ તેમના અંતરમાંથી દિવ્ય પ્રકાશપૂંજ પ્રગટ્યો. આ પ્રકાશમાંથી જ મહર્ષિ નારદનું પ્રાગટ્ય થયું. નારદમુનિએ પરમપિતા બ્રહ્માને પ્રણામ કર્યા અને સ્વયંની ઉત્પત્તિનું કારણ પૂછ્યું. ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે, “હે પુત્ર ! તારું નામ નારદ છે. ‘નારદ’ એટલે અસ્ખલિત પ્રવાહ. નામ પ્રમાણે જ તું ભક્તિ અને જ્ઞાનનો અસ્ખલિત પ્રવાહ છે. તારા સર્જન પાછળનો મારો આશય જગતમાં માનવૃદ્ધિનો છે. હે પુત્ર ! તુ તારો સંસાર બનાવ.”
નારદમુનિએ શાંતચિત્તે પિતાની વાત સાંભળી અને પછી વિનયપૂર્વક અસહમતી દર્શાવતા કહ્યું કે, “હે જગતપિતા ! હું અભાગી છું કેમકે હું પિતાની આજ્ઞાનું પાલન નહીં કરી શકું. હે દેવ, હું સંસારના કોઈ બંધનોથી બંધાવા નથી માંગતો. મારા સર્જનની સાથે જ મારી અંદર નારાયણ-નારાયણનો નાદ ગુંજવા લાગ્યો છે અને એ જ મારું લક્ષ્ય છે. મને ક્ષમા કરો.”
સ્વયંના માનસપુત્રના મુખે જ સૃષ્ટિના વિસ્તારનો નનૈયો સાંભળી બ્રહ્મદેવ ક્રોધે ભરાયા અને નારદમુનિને શ્રાપ આપી બેઠા, “હે નારદ ! તે મારી આજ્ઞાની અવજ્ઞા કરી છે. જા તને મારો શ્રાપ છે કે તું કોઈ જગ્યાએ સ્થિર નહીં રહી શકે. સદા અવિચળ ત્રણેય લોકમાં ભ્રમણ કરતો રહે.”
પરમપિતા બ્રહ્માજીના શ્રાપને પણ નારદમુનિએ સહર્ષ સ્વીકારી લીધો અને પછી નીકળી પડ્યા શ્રીહરિની અખંડ સાધના માટે. નારદમુનિએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપાની પ્રાપ્તિ કરી. નારાયણે પ્રસન્ન થઈ નારદમુનિને ‘મહતી’ નામની વીણા આપી. અને સાથે જ વરદાન આપ્યું કે જ્યારે નારદ તે વીણા વગાડશે ત્યારે તેઓ સ્વયં પ્રગટ થશે. દંતકથા અનુસાર આ જ વીણા વડે નારદમુનિ રુચાઓ, મંત્ર અને સ્તુતિઓ રચે છે.
નારદમુનિને પ્રથમ નાટ્યયોગી પણ મનાય છે. ભક્તોના હૃદયમાં અને સ્વયં શ્રીહરિના હૃદયમાં તેમનું આગવું સ્થાન છે. ભગવદ્ ગીતામાં એટલે જ તો શ્રીકૃષ્ણ કહે છે કે “દેવર્ષિઓમાં હું નારદ છું !”
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)