શું તમે કર્યા છે અમદાવાદના સોમનાથના દર્શન ? એક હજાર વર્ષથી પણ પ્રાચીન છે આ સ્થાનક
એક હજાર વર્ષથીયે પ્રાચીન છે અમદાવાદના સોમનાથ (Somnath) મહાદેવનું સ્થાનક. વ્યક્તિના દરેક રોગને દૂર કરે છે મહાદેવને અર્પિત થતું જળ ! લોકોને મન તો અમૃત સરીખો છે આ જળનો મહિમા !
સોમનાથ (somnath), દેવાધિદેવ મહાદેવનું (Mahadev) એક એવું રૂપ કે જેના દર્શન મનુષ્યના જીવનને શીતળતાથી પરિપૂર્ણ કરી દે છે. અને મહેશ્વરનું એક આવું જ શાંત, સૌમ્ય અને શીતળતા પ્રદાન કરનારું સ્વરૂપ અમદાવાદમાં (Ahmedabad) પણ વિદ્યમાન છે. આ મહેશ્વર એટલે અમદાવાદના સોમનાથ મહાદેવ.
અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વરનું એક હજાર વર્ષથીયે પ્રાચીન સ્થાનક વિદ્યમાન છે. જે પ્રસિદ્ધ છે અમદાવાદના સોમનાથ તરીકે. આશુતોષના આ ‘સોમનાથ’ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને એવી અનુભૂતિ થાય છે કે જાણે તેમના ભવ-ભવના સંતાપોનું શમન થઈ ગયું હોય. વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સરીખો જ છે આ પાવનકારી સ્થાનકનો મહિમા.
ન માત્ર શ્રાવણ માસ પરંતુ બારેય માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે સોમનાથ મહાદેવનું સ્થાનક. અહીં તો દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના સોમવાર અને મહાશિવરાત્રીના રોજ અહીં સ્થાનકમાં વિશેષ પૂજાનું આયોજન થતું હોય છે. જેમાં ભાગ લેવાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે.
એક હજાર વર્ષથી અખંડ જ્યોત
એક હજાર વર્ષ પૂર્વે પ્રભાસના સોમનાથ તીર્થથી લાવીને અહીં પ્રસ્થાપીત કરાયેલી આ અખંડ જ્યોત આ સ્થાનની મહત્તાની સાક્ષી પૂરી રહી છે. ભક્તોને મન દેવાધિદેવ મહાદેવના દર્શન સરીખો જ મહિમા આ પાવનકારી જ્યોતના દર્શનનો પણ છે. માન્યતા અનુસાર અહીંના દર્શન શ્રદ્ધાળુઓને સોમનાથ દાદાના દર્શન સમા જ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. અને કદાચ સ્થાનકની આ જ અખંડતા અને દિવ્યતા તેમને પરમશાંતિની અનુભૂતિ કરાવી રહી છે.
જળ દૂર કરશે દરેક રોગ
અમદાવાદના આ સોમનાથ મહાદેવ પર અભિષેકનું અદકેરું જ મહત્વ છે. અને તેનાથી પણ વિશેષ મહત્તા તો છે મહાદેવને અર્પિત થયેલા જળને ગ્રહણ કરવાનું. કહેછે કે આ જળને ગ્રહણ કરવા માત્રથી વ્યક્તિને દરેક રોગથી મુક્તિ મળે છે. ખાસ તો જેમને ચામડીના રોગ કે કોઈ બિમારી છે તેમની દરેક સમસ્યાનું નિવારણ આ અમૃત સમાન જળથી થાય છે. કહે છે કે અમદાવાદના સોમનાથના દર્શને આવનારા દરેકના મનોરથને મહાદેવ પરિપૂર્ણ કરે છે. અને આસ્થા સાથે મહાદેવને અભિષેક કરનારની દરેક કામના મહાદેવ પરિપૂર્ણ કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)