Ganesh Chaturthi 2021 : ગણેશજીને મોદક શા માટે સૌથી પ્રિય છે ? જાણો તેની રોચક કથા !
આ તહેવારને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. આ વખતે ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને 19 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ 4 ના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. આ દરમિયાન ભગવાન ગણેશના ભક્તો તેમની મૂર્તિ ધામધૂમથી ઘરમાં લાવે છે. તેમની સ્થાપના કર્યા પછી, તેઓ ગણપતિની પૂજા કરે છે.
આ વખતે ગણેશ ઉત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને 19 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ પ્રસંગે લોકો 5, 7 કે 9 દિવસ માટે ઘરે ગણપતિ લાવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ સૌથી વધુ ઉજવવામાં આવે છે અને ત્યાં લોકો ચોક્કસપણે ગણપતિને મોદકનો ભોગ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ગણપતિને મોદક ખૂબ પ્રિય છે. જાણો આ માન્યતા પાછળનું કારણ શું છે.
પ્રથમ કથા
કથા અનુસાર એક વાર ભગવાન શિવ આરામ કરી રહ્યા હતા અને ગણેશજી તે સમયે દ્વારપાળ હતા. જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા ત્યારે ગણેશજીએ પરશુરામને રોક્યા. આ સાંભળીને પરશુરામ ગુસ્સે થયા અને ગણેશજી સાથે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે પરશુરામનો પરાજય થવા લાગ્યો ત્યારે તેણે ગણેશજી પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કર્યો. આ કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો.
તૂટેલા દાંતને કારણે ગણેશજીને દુ:ખાવો થવા લાગ્યો અને ભોજન કરવામાં તકલીફ થવા લાગી. ત્યારબાદ તેમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યા કારણ કે મોદક ખૂબ નરમ હોય છે. મોદક ખાવાથી તેનું પેટ ભરાઈ ગયું અને તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે. જે પણ ભક્તો ગણેશજીને મોદકનો ભોગ ધરાવે છે, તેના પર ગણપતિ ખૂબ પ્રસન્ન થાય છે.
બીજી કથા
મોદક વિશેની બીજી કથા ગણેશ અને માતા અનુસુયાની છે. એકવાર ગણપતિજી, ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે અનુસુયાના ઘરે ગયા હતા. તે સમયે ગણપતિ, ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ ભૂખ્યા હતા. માતા અનુસુયાએ વિચાર્યું કે પહેલા હું ગણેશજીને જમાડીશ ત્યારબાદ મહાદેવ અને માતા પાર્વતીને જમાડીશ. માતા અનુસુયાએ ગણપતિને ખવડાવવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે લાંબા સમય સુધી ખાવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેની ભૂખ શાંત થવાનું નામ નહોતી લઈ રહી.
માતા અનુસુયાએ વિચાર્યું કે કંઈક મીઠાઈ ખવડાવવાથી તેની ભૂખ શાંત થશે. તેથી માતા અનુસુયા ગણપતિ માટે મીઠાઈ લઈને આવ્યા. મિઠાઈ ખાવાથી ગણેશજીનું પેટ ભરાઈ ગયું અને તેમને સંતૃપ્તિ થઈ. દેવી પાર્વતીએ અનુસુયાને તે મીઠાઈનું નામ પૂછ્યું ત્યારે માતા અનુસુયાએ કહ્યું કે તેને મોદક કહેવામાં આવે છે. ત્યારથી મોદકને ગણપતિજીની પ્રિય વાનગી માનવામાં આવે છે અને ભગવાન ગણેશને મોદક ધરાવવાની પરંપરા શરૂ થઈ.
આ પણ વાંચો : Chanakya Niti : આ 3 સંજોગોમાં દરેક પુરૂષને દુ:ખનો સામનો કરવો જ પડે છે !
આ પણ વાંચો : શિવ પ્રલયકાળમાં પણ નથી કરતા આ નગરીનો ત્યાગ ! જાણો અવિમુક્ત ક્ષેત્રની મહત્તા