શું તમે જાણો છો આ 10 શુભ પરંપરાઓનું રહસ્ય ?
જેમ જીવન વગરના શરીરને અશુભ માનવામાં આવે છે, તેવી જ રીતે ખાલી કળશને પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ કળશ દૂધ, પાણી, અનાજ વગેરેથી ભરીને પૂજા માટે રાખવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં પૂજા (PUJA) સમયે કેટલીક વસ્તુઓ ફરજિયાત માનવામાં આવે છે. પ્રસાદ, મંત્ર, સ્વસ્તિક, કળશ, આચમન, તુલસી, સેંથામાં સિંદૂર, સંકલ્પ, શંખનાદ અને ચરણ સ્પર્શ. આ વિધિઓ આમ તો હજારો વર્ષોથી ચાલી આવે છે. અને આપણે પણ તેને પરંપરા સમજી પૂજા સમયે તેનું પાલન કરતા રહીએ છીએ. પણ, શું તમને ખબર છે કે આ વિધિઓ પાછળનું પૌરાણિક મહત્વ શું છે ? આવો, આજે જાણીએ આ તમામ વિધિઓ પાછળની મહત્તા. પ્રસાદ શા માટે ધરાવવામાં આવે છે ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે – “હે મનુષ્ય ! તમે જે કંઈ પણ ખાવ છો અથવા તમે જે કંઈપણ દાન કરો છો તેનો હોમ યજ્ઞ કરો અથવા તપ કરો. અને સૌથી પહેલાં તે મને પ્રદાન કરો.” એટલે, આપણે પ્રસાદ દ્વારા ભગવાનનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ પ્રભુ પ્રત્યે પ્રામાણિક રહેવાની ભાવના પણ પ્રસાદમાં રહેલી છે.
મંત્રનો મહિમા દેવતાઓ મંત્રને આધીન છે. મંત્રના પાઠ દ્વારા ઉદ્દભવેલ શબ્દશક્તિ, દ્રઢ સંકલ્પ અને શ્રદ્ધાના બળને કારણે તે બમણી રીતે આપણી ચેતનાના સંપર્કમાં આવે છે. આપણાં આંતરિક શરીર અને બાહ્ય બ્રહ્માંડમાં તે એક અદ્વિતીય શક્તિનો પ્રસાર કરે છે. તેને લીધે જ વ્યક્તિને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
પૂજામાં સ્વસ્તિકનું મહત્વ ગણેશ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘સ્વસ્તિક’ એ તો ભગવાન ગણેશના સ્વરૂપનું જ પ્રતિક છે. સ્વસ્તિક તમામ અવરોધો અને દુર્ભાગ્યને દૂર કરવાની શક્તિ ધરાવે છે. પુરાણોમાં સ્વસ્તિકને અવિનાશી ‘બ્રહ્મા’નું નામ આપવામાં આવ્યું છે. તેને ધનની દેવી લક્ષ્મી એટલે કે ‘શ્રી’નું પ્રતિક પણ માનવામાં આવે છે. ઋગ્વેદના સ્તોત્રમાં સ્વસ્તિકને સૂર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે અમરકોષમાં તે આશીર્વાદ, સદગુણ, કલ્યાણ અને મંગળનું પ્રતિક મનાય છે. સ્વસ્તિકના મુખ્યત્વે ચાર હાથ એ તો ચાર દિશાઓ, ચાર યુગ, ચાર વેદ, ચાર વર્ણ, ચાર આશ્રમ, ચાર પુરુષાર્થ, ચાર નક્ષત્ર અને બ્રહ્માજીના ચાર ચહેરાનું પ્રતિક માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકને લાભદાયી મનાય છે. સ્વસ્તિકમાં શ્રીગણેશનો વાસ હોવાની માન્યતા છે. જે સર્વાંગી શુભતા આપે છે અને માંગલિક કાર્યો અડચણ વિના પાર પડે છે.
માંગલિક કાર્યોમાં કળશ સ્થાપન ધર્મશાસ્ત્રો અનુસાર કળશને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને શુભેચ્છાઓનું પ્રતિક મનાય છે. દેવી પુરાણ અનુસાર દેવી ભગવતીની પૂજા કરતી વખતે સૌ પ્રથમ કળશની સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીમાં મંદિરો અને ઘરોમાં કળશને સ્થાપિત કરવામાં આવે છે અને દેવી દુર્ગાની પૂજા વિધિ કરવામાં આવે છે. તો, માનવ શરીરની પણ માટીના વાસણ તરીકે કલ્પના કરવામાં આવી છે. આ શરીરરૂપી કળશમાં પ્રાણીરૂપી જળ વિદ્યમાન છે. જેમ જીવન વગરના શરીરને અશુભ માનવામાં આવે છે, તેવી જ રીતે ખાલી કળશને પણ અશુભ માનવામાં આવે છે. એટલા માટે જ કળશ દૂધ, પાણી, અનાજ વગેરેથી ભરીને પૂજા માટે રાખવામાં આવે છે. ધાર્મિક કાર્યોમાં કળશનું ઘણું મહત્વ છે.
આચમન ત્રણ વાર જ શા માટે ? વેદ અનુસાર, આચમનને ધાર્મિક કાર્યોમાં ત્રણ વાર કરવાની પ્રધાનતા આપવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આચમન ત્રણ વાર કરવાથી વ્યક્તિને શારિરીક, માનસિક અને મૌખિક એમ ત્રણ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેનું ખૂબ સારું પરિણામ મળે છે. આ કારણોસર, દરેક ધાર્મિક કાર્યમાં, વ્યક્તિએ ત્રણ વખત આચમન કરવું જોઈએ.
તુલસી જગાવે સૌભાગ્ય ! જે વ્યક્તિ દરરોજ તુલસીનું સેવન કરે છે, તેનું શરીર ઘણા ચાંદ્રાયણ વ્રત કર્યા પછી મળતા પુણ્ય સમાન પવિત્ર બને છે. પાણીમાં તુલસીદલ (તુલસીપત્ર) નાંખીને સ્નાન કરવું તે તીર્થોમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે. તેનાથી વ્યક્તિ પવિત્ર બને છે અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે તે બધા પ્રકારના યજ્ઞોમાં બેસવા માટે હકદાર બની જાય છે.
વિવાહિત મહિલાઓ સેંથામાં સિંદૂર કેમ પૂરે છે ? સેંથામાં સિંદૂર સુશોભિત કરવું એ પરિણીત મહિલાનું પ્રતિક મનાય છે. તેને મંગળકારી માનવામાં આવે છે. તે દેખાવ અને સુંદરતામાં પણ વધારો કરે છે. સેંથામાં સિંદૂર પૂરવું એ તો એક વૈવાહિક સંસ્કાર છે ! શરીરરચના અનુસાર, સૌભાગ્યવતી મહિલાઓ જે ભાગમાં સિંદૂર ભરે છે તે સ્થાન બ્રહ્મરંધ્ર અને અહિમ નામે ઓળખાય છે. સ્ત્રીઓનું આ મર્મસ્થળ ખૂબ જ નરમ હોય છે. તેની સુરક્ષા માટે ત્યાં સિંદૂર ભરવામાં આવે છે.સિંદૂરમાં કેટલીક ધાતુઓ હોય છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ નથી થતી અને સ્ત્રીઓના શરીરમાં અમુક પ્રકારની વિદ્યુત ઉત્તેજના નિયંત્રિત રહે છે.
સંકલ્પ શા માટે જરૂરી ? ધાર્મિક કાર્યોને શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અને તન્મયતા સાથે પૂર્ણ કરવાવાળી શક્તિ જ ‘સંકલ્પ’ છે. દાન અને યજ્ઞ જેવા પુણ્યકર્મોનું ફળ પણ ત્યારે જ મળે છે જ્યારે તે સંક્લ્પ સાથે પૂર્ણ કર્યું હોય. કામનાનું મૂળ જ સંકલ્પ છે અને યજ્ઞ પણ સંકલ્પથી જ પૂર્ણ થાય છે !
ધાર્મિક કાર્યોમાં શંખનાદ અથર્વવેદ મુજબ શંખ એ અવકાશ, હવા, જ્યોતિમંડળ અને સોના સાથે સંકળાયેલ છે. શંખનાદ દુશ્મનોનું મનોબળ નબળું પાડે છે. જે પૂજા દરમિયાન શંખનાદ કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે અને તે ભગવાન શ્રીહરિ સાથે ખુશીથી રહે છે. તેથી જ તમામ ધાર્મિક કાર્યોમાં શંખનાદ જરૂરી છે.
ચરણ સ્પર્શની પરંપરા શા માટે ? પગને સ્પર્શવાની ક્રિયામાં શરીરના અંગોની શારીરિક ક્રિયાનું સંચાલન થાય છે. તે વ્યક્તિના મનમાં ઉત્સાહ, ચેતનાને ઉત્તેજિત કરે છે. તે એક સરળ કસરત અને યૌગિક ક્રિયા પણ છે. જેનાથી તણાવ, આળસ અને મનના ઉચાટથી પણ મુક્તિ મળે છે. તો, હવે પછી જ્યારે આપ કોઈપણ ધાર્મિક કાર્ય કરતા હોવ, ત્યારે તે ધાર્મિક પરંપરાઓનું શું મહત્વ છે તે વાતનું સ્મરણ કરજો. તેનાથી વધુ આસ્થા સાથે તે કાર્યને સંપન્ન કરી શકાશે. તેમજ તેનાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ પણ કરી શકાશે.
આ પણ વાંચોઃ ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત કરો વિવાહનું વરદાન અને સંતાનનું સુખ !