વર્ષમાં માત્ર રક્ષાબંધને જ થાય છે બંસી નારાયણના દર્શન ! જાણો ભક્તો કેમ બાંધે છે પ્રભુને રક્ષાસૂત્ર?
ભારતમાં આવેલું છે એક એવું મંદિર કે જેના માત્ર રક્ષાબંધને જ થાય છે દર્શન ! ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બંસી નારાયણનું (Bansi Narayan) મંદિર સ્થિત છે. શ્રદ્ધાળુઓ બંસી નારાયણને રક્ષાસૂત્ર બાંધે છે અને પરિવારની રક્ષાની કરે છે કામના !
શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે તો રક્ષાબંધનનો (Rakshabandhan) અવસર. રક્ષાબંધનના અવસરે લોકો ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને મંદિરે જઈ દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરતાં હોય છે. તમને ખબર છે ભારતમાં આવેલું છે એક એવું મંદિર કે જેના માત્ર રક્ષાબંધને જ થાય છે દર્શન ! દેવભૂમિ ઉત્તરખંડના (Uttarakhand) ચમોલીમાં આવેલું છે એક એવું સ્થાન જેના વર્ષમાં એક જ વાર થાય છે દર્શન અને આ સ્થાન એટલે બંસી નારાયણનું (Bansi Narayan) મંદિર.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બંસી નારાયણનું મંદિર સ્થિત છે. આ મંદિર સમુદ્રની સપાટીથી લગભગ 13 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. મંદિરને બંસી નારાયણ તેમજ વંશી નારાયણના નામે પણ ઓળખવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મંદિર સુધી પહોંચવાનો માર્ગ અત્યંત વિકટ છે. ચમોલી જિલ્લાની ઉર્ગમ ઘાટીથી લગભગ 12 કિલોમીટર લાંબી પદયાત્રા કરીને મંદિર સુધી પહોંચી શકાય છે. પરંતુ, બંસી નારાયણની દિવ્ય પ્રતિમાના દર્શન માટે વર્ષમાં એકવાર શ્રદ્ધાળુઓ આ દુર્લભ સાહસ ખેડી જ લે છે. અને દુર્લભ સાહસનો આ દિવસ એટલે શ્રાવણ સુદ પૂર્ણિમાનો દિવસ.
હરિ – હરના એક સાથે દર્શન
અહીં મંદિરમાં બંસીનારાયણની દિવ્ય પ્રતિમા પ્રસ્થાપિત છે. વાસ્તવમાં તો બંસીનારાયણની પ્રતિમામાં હરિ અને હર બંન્નેની મુખાકૃતિ અંકિત છે. એટલે કે આ એક પ્રતિમાના દર્શનથી શ્રદ્ધાળુઓને શિવ અને વિષ્ણુ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થઈ જાય છે ! ઉત્તરાખંડના ચમોલીમાં સ્થિત બંસી નારાયણનું મંદિર કત્યુરી શૈલી થી નિર્મિત છે. એક માન્યતા અનુસાર આ સ્થાન પાંડવકાલીન છે પાંડવકાલીન મંદિર !અલબત્ મંદિરનું નિર્માણ છઠ્ઠી સદીમાં થયું હોવાનું મનાય છે.
કેમ માત્ર રક્ષાબંધને જ થાય છે પ્રભુના દર્શન ?
અસુર રાજ બલી દ્વારા મહાયજ્ઞની અને વામન રૂપ શ્રીહરિ દ્વારા તેમના ગર્વના ખંડનની કથા સર્વ વિદિત છે. કથા અનુસાર શ્રીહરિની આજ્ઞાથી રાજા બલીએ પાતાળનું રાજ સ્વિકાર્યું. અને બલીને આપેલા વચન મુજબ વિષ્ણુ તેમના દ્વારપાળ બન્યા. કહે છે કે ત્યારે શ્રીવિષ્ણુ વિના વ્યથિત થયેલા દેવી લક્ષ્મી તેમને શોધવા નીકળ્યા. અને પછી બંસી નારાયણની આ જ ભૂમિ પર પધાર્યા. કે જ્યાં તેમની મુલાકાત નારદ મુનિ સાથે થઈ. નારદ મુનિએ બંસી નારાયણની ભૂમિ પર જ દેવી લક્ષ્મીને રાજા બલીની કથા સંભળાવી. અને સાથે જ શ્રીવિષ્ણુને પાતાળલોકમાંથી પરત લાવવાની યુક્તિ પણ જણાવી.
નારદજીની યુક્તિ અનુસાર દેવી લક્ષ્મી પાતાળ લોક જવા તૈયાર થયા. અને તેમણે નારદમુનિને પણ સાથે આવવા વિનંતી કરી. કહે છે કે બંસી નારાયણની ભૂમિ પરથી જ નારદ મુનિ અને લક્ષ્મીજીએ પાતાળમાં પ્રવેશ કર્યો હતો. તે શ્રાવણ સુદ પૂર્ણિમાનો જ દિવસ હતો. એટલે કે શ્રાવણી પૂર્ણિમાએ નારદજી આ ભૂમિ પર નથી હોતા. અને એ જ કારણ છે કે આ એક દિવસ પૂરતો અહીં મનુષ્યને નારાયણની સેવાનો પૂજાનો અધિકાર પ્રાપ્ત થયો છે.
પાતાળમાં દેવી લક્ષ્મીજીએ રાજા બલીને રક્ષાસૂત્ર બાંધી શ્રીવિષ્ણુને મુક્ત કરાવ્યા તે દિવસ પણ શ્રાવણી પૂર્ણિમાનો જ હતો. અને કહે છે કે શ્રીવિષ્ણુએ પાતાળલોકમાંથી ધરતીલોક પર પ્રવેશ બંસી નારાયણની ભૂમિ પરથી જ કર્યો હતો ! એ જ કારણ છે કે એકમાત્ર રક્ષાબંધનના દિવસે જ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ દિવસે અહીં મેળો લાગે છે. રક્ષાબંધને સ્ત્રીઓ નારાયણને રક્ષાસૂત્ર સમર્પિત કરે છે. સાથે જ નારાયણની સાક્ષીએ જ તેમના ભાઈઓે પણ રાખડી બાંધે છે. કે જેથી બંસી નારાયણ સદૈવ તેમની રક્ષા કરે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)