Shrawan 2022 : 1100 વર્ષ પ્રાચીન છે અમદાવાદના નગરદેવતાનું સ્થાન ! જાણો કર્ણમુક્તેશ્વર ધામનો મહિમા
ઐતિહાસિક, પ્રાચીન અને સાથે જ ખૂબ દિવ્ય છે અમદાવાદના નગરદેવતાનું ધામ. 1100 વર્ષ પ્રાચીન આ આ શિવધામમાં બિરાજતા કર્ણમુક્તેશ્વર મહાદેવ આજે પણ કરે છે અમદાવાદની રક્ષા !
પાવનકારી શ્રાવણ માસમાં (shravan 2022) સમગ્ર અમદાવાદના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. પણ, શું તમે એ જાણો છો કે ગુજરાતના હાર્દ સમા આ અમદાવાદ શહેરનું સૌથી પ્રાચીન શિવ મંદિર (shiv temple) કયું છે ? અમદાવાદનું સૌથી પ્રાચીન શિવ મંદિર એટલે જ કર્ણમુક્તેશ્વર મહાદેવનું (karnamukteshwar mahadev) મંદિર. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં વિદ્યમાન કર્ણમુક્તેશ્વર એટલે તો આ શહેરના સૌથી પ્રાચીન મહેશ્વર. માન્યતા અનુસાર લગભગ 1100 વર્ષથી કર્ણમુક્તેશ્વર મહાદેવ આ શહેરમાં વિદ્યમાન થયા છે. અને તે જ અમદાવાદના નગરદેવતા (Nagar devta) તરીકે પૂજાઈ રહ્યા છે.
ઐતિહાસિક કથા
ઐતિહાસિક માહિતી અનુસાર પૂર્વે અહીં આશાવલ્લિ નામનું રાજ્ય હતું. વર્ષ 957માં પાટણપતિ કર્ણદેવ સોલંકીએ આશાવલ્લિના રાજા આશાભીલને હરાવી અહીં કર્ણાવતી નગરી વસાવી. તેમણે જ આજે કાંકરીયા તરીકે પ્રસિદ્ધ કર્ણસાગર તળાવનું નિર્માણ કરાવ્યું. અને સાથે જ આ નગરની રક્ષાર્થે સ્થાપના કરી કર્ણેશ્વર મહાદેવની. આ જ કર્ણેશ્વર મહાદેવ આજે કર્ણમુક્તેશ્વરના નામે પ્રસિદ્ધ છે. દંતકથા તો એવી પણ છે. બાળ સિદ્ધરાજનો રાજ્યાભિષેક પણ આ જ સ્થાન પર થયો હતો. કર્ણમુક્તેશ્વરનું શિવલિંગ અન્ય શિવલિંગ કરતાં થોડું અલગ ભાસે છે. શિવલિંગ પર છીદ્ર છે. વાસ્તવમાં આ છીદ્ર જ આ સ્થાનકની ઐતિહાસિક ભવ્યતાને અભિવ્યક્ત કરી રહ્યું છે. કહે છે કે શિવલિંગના સ્થાપન સમયે તેના પર સાચું રત્ન જડવામાં આવ્યું હતું. અલબત્, કાળક્રમે તે રત્ન ગૂમ થયું છે.
શ્રાવણમાં ધાર્મિક અનુષ્ઠાન
1100 વર્ષ પ્રાચીન આ શિવધામનું ઐતિહાસિક માહાત્મ્ય તો છે જ. પણ, અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે થતાં યજ્ઞાદીકર્મો આ સ્થાનકને વધુ દિવ્ય બનાવે છે. મહાદેવના આ સ્થાનમાં જ ભક્તો લઘુરુદ્રી કે મહારુદ્રી જેવી વિધિઓ કરાવવા આવતા હોય છે. શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર કર્ણમુક્તેશ્વર ધામમાં મહાપૂજાનું આયોજન થાય છે. જેમાં ભક્તવત્સલ ભોળાનાથની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અમદાવાદના આ નગરદેવતાના દર્શનાર્થે અહીં આવે છે.
કામનાપૂર્તિ કર્ણમુક્તેશ્વર
પ્રચલિત માન્યતા કર્ણમુક્તેશ્વર મહાદેવના દર્શન માત્રથી સુખ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. લોક મુખે તો એવું પણ ચર્ચાતુ હોય છે કે કર્ણમુક્તેશ્વર મહાદેવના આશીર્વાદથી જ આજે અમદાવાદ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. અને એટલે જ શ્રાવણ માસ હોય કે સોમવાર કે પછી કોઈ પણ સામાન્ય દિવસ કર્ણમુક્તેશ્વર મહેદાવનું સ્થાન તેના ભક્તોથી ઘેરાયેલું જ રહે છે. મહેશ્વર સૌને સુભાશિષની પ્રાપ્તિ કરાવનારા છે. કહેવાય છે કે દરેકની મનોકામનાની પૂર્તિ કરનારા છે કર્ણમુક્તેશ્વર મહાદેવ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)