RBIએ Manappuram Finance સામે દંડાત્મક કાર્યવાહી કરી, KYC નિયમો સંબંધિત મામલામાં લાપરવાહી સામે આવતા પગલું ભરાયું
KYC નિયમોના ઉલ્લંઘન બદલ NBFCs સામે પગલાં લેતા સેન્ટ્રલ બેંકે આજે 17 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. NBFCs સામે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તેમજ KYC નિયમો(KYC Rules) સંબંધિત મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે.
રિઝર્વ બેંકે(RBI) આજે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની મણપ્પુરમ ફાઇનાન્સ(Manappuram Finance) સામે કાર્યવાહી કરી છે. KYC નિયમોના ઉલ્લંઘન બદલ NBFCs સામે પગલાં લેતા સેન્ટ્રલ બેંકે આજે 17 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. NBFCs સામે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તેમજ KYC નિયમો(KYC Rules) સંબંધિત મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીનું હેડક્વાર્ટર કેરળમાં આવેલું છે અને કંપનીનો બિઝનેસ દેશભરના 25 રાજ્યોમાં ફેલાયેલો છે. ગયા અઠવાડિયે જ રિઝર્વ બેંકે નિયમોની અવગણના કરવા બદલ ચાર સહકારી બેંકો પર 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક નિયમોને લઈને સતત કડક વલણ અપનાવી રહી છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આરબીઆઈએ ઘણી નાની અને મોટી બેંકો પર કાર્યવાહી કરી છે.
શું છે રિઝર્વ બેંકનો આદેશ?
રિઝર્વ બેંકે એક રીલીઝમાં જણાવ્યું હતું કે આ દંડ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007ની કલમ 30 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે. પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) ના ઇશ્યુ અને ઓપરેશન્સ સંબંધિત અમુક નિયમો અને KYC ધોરણોનું પાલન ન કરવા બદલ કંપનીને રૂ. 17,63,965 નો દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે આ અંગે કંપનીને નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો. રિઝર્વ બેન્કે રિલીઝમાં જણાવ્યું હતું કે કંપનીના જવાબ અને વ્યક્તિગત સુનાવણી પછી જાણવા મળ્યું છે કે કંપની KYC અને PPI પર અમુક નિયમોનું પાલન કરી રહી નથી. આવી સ્થિતિમાં કંપનીને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું કે નિયમોનું પાલન ન થવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. કંપની દ્વારા ગ્રાહકો સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર તેનો કોઈ પ્રભાવ નથી.
ગત સપ્તાહે ચાર સહકારી બેંકો ઉપર કાર્યવાહી કરાઈ હતી ?
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાર સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. દંડની રકમ 4 લાખ રૂપિયા છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, આ સહકારી બેંકો (કો-operative banks) સામે નિયમનકારી અનુપાલન (Regulatory compliances) અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહી અવારનવાર થાય છે અને જે બેંકો રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરતી નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દંડ ઉપરાંત, કાર્યવાહીમાં પ્રતિબંધો પણ લાદવામાં આવે છે. અખબારી યાદીમાં આ બેંકો સામે લાદવામાં આવેલા દંડની માહિતી આપવામાં આવી છે.